વડોદરામાં અગરબત્તીને બનતા ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો.તેની લંબાઈ 108 ફૂટ તો પહોળાઈ 3.5 ફૂટ છે
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને વડોદરામાં ગૌપાલક સમાજે બનાવેલી 108 ફૂટ લાંબી અગરબત્તી આજે અયોધ્યામાં પ્રગટાવવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે દોઢ મહિના કરતા વધારે સમય માટે આ અગરબત્તીની સુગંધથી અયોધ્યા મહેકતુ રહેશે.
રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાવાનો છે ત્યારે આજે ભગવાન રામના જયજયકાર વચ્ચે 108 ફૂટ લાંબી અગરબત્તીને અયોધ્યાના આંતર રાજ્ય બસ સ્ટેન્ડ નજીક પ્રગટાવવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસજી પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાની અગરબત્તી અયોધ્યામાં ભગવાન રામના દર્શન માટે પહોંચેલા ભાવિકોમાં ભારે આકર્ષણનુ કેન્દ્ર પણ બની છે.ઉલ્લેખનીય છે કે, 108 ફૂટ લાંબી અગરબત્તીને 1 જાન્યુઆરીએ વિશેષ રીતે શણગારેલી ટ્રકમાં રવાના કરવામાં આવી હતી. ભારતના વિવિધ રાજ્યોમાં પસાર થઈને આ અગરબત્તી 11 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચી તે પહેલા સમગ્ર રુટ પર દરેક રાજ્યમાં લોકોએ તેના દર્શન કરવા માટે પડાપડી કરી હતી.
વડોદરામાં અગરબત્તીને બનતા ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો.તેની લંબાઈ 108 ફૂટ તો પહોળાઈ 3.5 ફૂટ છે. તેમાં 1470 કિલો છાણ, 420 કિલો વિવિધ જડીબુટ્ટીઓ, 376 કિલો ગૂગળ, 376 કિલો નારિયેળના છીપ અને 190 કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવાયેલી અગરબત્તી દોઢ મહિના કરતા વધારે સમય માટે પ્રજ્લવિત રહેશે અને અયોધ્યામાં તેની ખૂશ્બૂ પ્રસરતી રહેશે.