બહુમાળી ચોક ખાતે સભા સંબોધી કહ્યું- ભાજપ જે વાયદાઓ કરે છે તે પુરા કરે છે, ક્ષત્રિય સમાજના સાથ સહકારની જરૂર
રાજકોટ: રાજકોટ લોકસભા બેઠકના
ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા આજે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ. આ પહેલાં રૂપાલા
યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી
ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી. રેલી
દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા, પુરુષોત્તમ રૂપાલાની
સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ
રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ
તેમણે 12.39ના ટકોરે વિજય મુહૂર્તમાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ
ભર્યુ.
રૂપાલાનું સંબોધન
રૂપાલાએ રામ રામ સાથે તેમની સ્પીચ શરુ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નેતાઓની સાથે
ઉદ્યોગપતિઓ તેમજ શાળા સંચાલકો સહિતનાઓનો આભાર વ્યક્ત કરુ છું. ક્ષત્રિય સમાજના સાથ
સહકારની જરૂર છે. ભાજપ જે વાયદાઓ કરે છે તે પુરા કરે છે, મોરબીના ગઈકાલના
કાર્યક્રમથી ખૂબ જ ખુશ છું. જે આવ્યાં છે તે તો મત આપશે જ, પણ આખા મલકને કહેજો કે
ભાજપને મત આપે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષથી વધુના લોકોને
આયુષ્યમાન કાર્ડની જાહેરાત કરી તેના માટે મત આપવો જોઈએ. દેશમાં ભાજપ સરકાર બનશે
અને તેના પ્રથમ 100 દિવસમા શું કરવાનું તેનુ પ્લાનિંગ સચિવાલય કરી રહ્યું છે. બધાને 100 ટકા મતદાન કરવાની અપીલ
પણ કરી છે.
રેલી સમયે બંને તરફના
રસ્તાઓ ખીચોખીચ ભરેલા હતા
પુરુષોત્તમ રૂપાલા સભા સ્થળે પહોંચ્યા ત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય
જયરાજસિંહ જાડેજા, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા, મેયર નયનાબેન પેઢડિયા
ઉપસ્થિત હતા. મોહન કુંડારીયા રેલીને બદલે સીધા સભા સ્થળે પહોંચ્યા હતા. પુરુષોત્તમ
રૂપાલાની રેલી બહુમાળી ભવન ચોક ખાતે પહોંચી હતી. ઢોલ નગારાના તાલે સંસ્કૃતિની એક
ઝલક બતાવવા પુરુષોત્તમ રૂપાલાની રેલી નીકળી હતી. જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન
ચોક તરફ નીકળેલી રેલીના બંને તરફના રસ્તાઓ ખીચોખીચ ભરેલા હતા.