બિલ્ડરની પત્ની અમિષા તમાકુવાલાએ ચોકબજાર પોલીસમાં નીતિન વિરૂધ્ધ અરજી કરી
સુરતઃ સૂર્યા મરાઠીની હત્યા બાદ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળા ચર્ચામાં આવ્યા છે. 10 મી તારીખે સૂર્યા મરાઠી ઉધનામાં ભાજપ કાર્યાલય પર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાને મળ્યો હતો. તેના એક દિવસ પછી જ સૂર્યા મરાઠીએ અમીષાબેન નામની મહિલાના બિલ્ડર પતિની ઓફિસે જઈ ધમકી આપી હતી. તેમાં અમીષાબેનના બિલ્ડર પતિનો આક્ષેપ છે કે સૂર્યાને નીતિન ભજીવાયાવાલાએ મોકલ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર અડાજણમાં પરમ રો-હાઉસમાં રહેતી અમીષા અલ્પેશ તમાકુવાલાની ઓલપાડમાં કાસલાકુદ ગામમાં 25 કરોડથી વધુની કિંમતની 22 હજાર વાર જમીન આવેલી છે.વેડરોડ પર સહયોગ સોસાયટીમાં બિલ્ડર અલ્પેશ તમાકુવાલાની ઓફિસ છે.
સૂર્યાને કોર્ટ કેસ પરત ખેંચવા ધમકી આપી હતી
અમીષાબેને ચોકબજાર પોલીસમાં સૂર્યા મરાઠીની હત્યાના એક દિવસ પછી ગુરૂવારે અરજી આપી છે. જે અનુસાર કાસલાકુદ ગામની જમીન મુદ્દે નીતિન ભજીયાવાલા દ્વારા મનસુખ ચોટલીયાના નામથી બોગસ દસ્તાવેજ ઉભા કરાયા હતા.જેની જાણ થતા અમીષાબેન અને અલ્પેશે કોર્ટ કેસ કર્યા હતા. સુરતની કોર્ટમાં જુબાનીનો સ્ટેજ ચાલવાનો છે. તેથી નીતિન ભજીયાવાલાએ સૂર્યા મરાઠીને તેમની ઓફિસે મોકલીને ઉપરોક્ત કોર્ટ કેસ પરત ખેંચવા ધમકી અપાવી હતી. સૂર્યા મરાઠીએ ઓફિસે જઈને ધમકી આપી હતી કે જો કેસ પાછો નહીં ખેંચશો તો નીતિન ભજીયાવાલાના કહેવાથી તમારા પરિવારને જાનથી મારી નાખશે. ચોકબજાર પોલીસ સ્ટેશનમાં કરાયેલી અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે અમીષાબેન અને તેમના પરિવારને કોઈ પણ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાની રહેશે. અઠવાડિયા પહેલા સૂર્યા મરાઠી મનુ ડાયા મર્ડર કેસમાંથી છૂટ્યો હતો. 10 મી તારીખે શહેર ભાજપ કાર્યાલય પર જઈને નીતિન ભજીયાવાલાને મળ્યો હતો અને 11 મી તારીખે અમીષાબેનના પતિ અલ્પેશને તેમની ઓફિસે જઈને ધમકી આપી હતી.અમીષાબેન તમાકુવાલા દ્વારા નીતિનભાઈ ભજીયાવાલા પર કરાયેલા ગંભીર આક્ષેપો બાબતે નીતિનભાઈનો પક્ષ જાણવા માટે તેમને ફોન કર્યો હતો પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો.
અરજી ધ્યાને નથી આવી
અમીષાબેન દ્વારા કરવામાં આવેલી અરજી હજુ સુધી મારા ધ્યાન પર આવી નથી. તપાસ કરીને જણાવીશ. - એ.એ. ચૌધરી, PI, ચોકબજાર પોલીસ