ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ‘ફન્ને ખાન’માં જોવા મળી હતી
મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ‘ફન્ને ખાન’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર તથા રાજકુમાર રાવ હતાં. આ ફિલ્મ પછી ઐશ્વર્યા કઈ નવી ફિલ્મ સાઈન કરે તેને લઈ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જોકે, હવે લાગે છે કે ઐશ્વર્યા રાય ડિરેક્ટર પ્રદિપ સરકાર સાથે કામ કરશે.
ફિલ્મ બિનોદિની
દાસના જીવન પર આધારિત
પ્રદિપ સરકાર 19મી સદીની ગણિકા તથા એક્ટ્રેસ બિનોદિની દાસ પર બાયોપિક બનાવી રહ્યાં છે. આ ફિલ્મને લઈ પ્રદિપ સરકાર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયને થોડાં મહિનાઓ પહેલાં મળ્યાં હતાં. પ્રદિપ સરકારને જ્યારે બિનોદિની પર બાયોપિક બનાવવાનો વિચાર આવ્યો તો તેમના મનમાં સૌ પહેલાં ઐશ્વર્યા રાયનું જ નામ આવ્યું હતું. તેમણે ઐશ્વર્યાને ફિલ્મનું પહેલું નેરેશન પણ આપ્યું હતું અને એક્ટ્રેસે પ્રોજેક્ટમાં રસ દાખવ્યો હતો અને હા પાડી હતી. વધુમાં પ્રદિપ સરકારે કહ્યું હતું કે ઐશ્વર્યાએ હજી સુધી ફિલ્મમાં કામ કરવાની હા પાડી નથી પરંતુ તેમને વિશ્વાસ છે કે તે ફિલ્મમાં કામ કરવા જરૂર રાજી થશે.
બિનોદિની દાસે બંગાળમાં પોતાનું થિયેટર
શરૂ કર્યું
પ્રદિપ સરકારે બિનોદિની દાસ અંગે વાત કરતાં કહ્યું હતું કે બંગાળમાં આ મહિલાએ પોતાનું પહેલું થિયેટર શરૂ કર્યું હતું. તેના જીવનની રસપ્રદ વાતોને ફિલ્મમાં બતાવવામાં આવશે. તેના જીવનમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા હતાં. તેણે જીવનમાં ઘણાં વિશ્વાસઘાત સહન કર્યાં હતાં. બિનોદિની દાસે 12 વર્ષની ઉંમરથી 23 વર્ષની ઉંમર સુધી એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું. 1913માં તેણે પોતાની બાયોગ્રાફી ‘અમરકથા’ લખી હતી.
ઐશ્વર્યા રાય મણિરત્નની ફિલ્મમાં કામ કરે છે
ઐશ્વર્યા રાય સાઉથ ડિરેક્ટર મણિરત્નમની ફિલ્મ ‘પોન્નીયીન સેલ્વન’માં કામ કરી રહી છે. ફિલ્મ આ જ નામ પરથી લખાયેલી નોવેલ પર આધારિત છે.