ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેસાણા વિસનગર લિંક રોડ પર રામોસણા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ 10 ફેબ્રુઆરી 2014માં થયું હતુ
મહેસાણામાં ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. વિસનગરને જોડતા આંબેડકર બ્રિજ પર ત્રણ ફૂટનું ગાબડું પડી જતા આજે વહેલી સવારથી જ વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ કરાયો છે. સ્થાનિકોની વારંવાર રજૂઆત બાદ પણ માત્ર સામાન્ય રિપેરીંગથી જ સંતોષ માનવામાં આવતો હતો. ત્યારે હવે મોટું ગાબડું પડતા અધિકારીને પ્રથમવાર લાગી રહ્યું છે કે આ મામલે એક્સપર્ટની સલાહ લેવી પડશે અને ત્યાં સુધી 20 દિવસ આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
બ્રિજના બંને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
મહેસાણા શહેરના રહેણાક વિસ્તારમાં વચ્ચે બનાવેલા રામોસણા અને વિસનગર રોડને જોડતા આંબેડકર બ્રિજ પર મોટું ગાબડું પડી જતા આજે વહેલી સવારથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજના બંને છેડે હાલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી બેરિકેડ લગાવી દેવાયા છે. જેના કારણે વાહનો બ્રિજ પર ન જઈ શકે.
જ્યારથી બ્રિજ બન્યો ત્યારથી વિવાદમાં: કમલેશભાઇ સુતરિયા
આ અગે સ્થાનિક કમલેશભાઇ સુતરિયાએ જણાવ્યું કે, માર્ગ મકાન વિભાગ અને રેલવે તંત્ર દ્વારા થોડાં વર્ષ અગાઉ આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. જ્યારથી બ્રિજ બન્યો ત્યારથી આ બ્રિજ વિવાદમાં આવ્યો છે. અનેકવાર મસમોટાં ગાબડાં પડી રહ્યાં છે અને રોડ બેસી ગયો હતો. બ્રિજ પર ગાબડાં પડતાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તૂટેલા બ્રિજ પર માત્ર થીંગડાં મારી તંત્ર સંતોષ માને છે. અમારી માંગ છે કે, આ બ્રિજ આખો ઉતારી લેવામાં આવે અને નવો બનાવવામાં આવે.
એક્સપર્ટ ઓપિનિયન લઈ આગળ કાર્યવાહી કરીશું: માર્ગ મકાન વિભાગ અધિકારી
આ અંગે માર્ગ મકાન વિભાગ અધિકારી ડી.આર.પટેલે જણાવ્યું હતું કે, રિપેરિંગની કામગીરી કરવાની હતી, એ બંધ કરવામાં આવી છે. હાલમાં જે ગેપ થઈ છે. તે બ્રિજ એક્સપોર્ટને બોલાવી તાત્કાલિક રિપેર કરવામાં આવશે. ત્યારબાદ સમગ્ર બ્રિજનું રિનોવેશન કરવામાં આવશે. બ્રિજ 2014માં બનાવવામાં આવ્યો છે. એક્સપર્ટ ઓપિનિયન લઈ આગળ કાર્યવાહી કરીશુ. બ્રિજની ગુણવત્તામાં બીજા જોઈન્ટ બરાબર છે. હાલમાં એક એક્સપનસ જોઈન્ટ ખૂલેલ છે તે મામલે નિર્ણય કરવામાં આવશે. બ્રિજના સેન્ટ્રલ પાર્ટ છે એમાં વારંવાર ચોમાસામાં પાણી ભરાઈ રહેતા ખાડા પડી ચૂક્યા છે. જેમાં ડામરથી રિપેરિંગ કરવામાં આવતા તેમાં માત્ર ડામર ખડતો હતો. ત્યારે સ્લેબનો કોઈ પાર્ટ તૂટ્યો નહોતો. પ્રથમવાર લાગી રહ્યું છે કે આ મામલે એક્સપર્ટની સલાહ લેવી પડશે. બે ચાર કલાકમાં એક્સપર્ટ બોલાવી કાર્યવાહી કરાવીશું. બ્રિજ મિનિમમ 20 દિવસ બંધ રાખવામાં આવશે.
2014માં આ બ્રિજ બનાવાયો હતો
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેસાણા વિસનગર લિંક રોડ પર રામોસણા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ 10 ફેબ્રુઆરી 2014માં કામ સંપન્ન થયું હતું. ત્યારબાદ 14 એપ્રિલ 2017માં ડો.બાબા સાહેબ આબેડકર ઓવરબ્રિજ તરીકે નામ આપવામાં આવ્યું હતું. આ બ્રિજનું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે નામકરણ કરવામાં આવ્યું હતું.