બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડો.એકે અબ્દુલ મોમેને નાગરિકતા સુધારા વિધેયક અંગે કહ્યું છે કે વિશ્વમાં કોઈ એવો દેશ નથી કે જ્યાં સાંપ્રદાયિક સદભાવના બાંગ્લાદેશ કરતા વધારે સારી હોય
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડો.એકે અબ્દુલ મોમેને નાગરિકતા
સુધારા વિધેયક અંગે કહ્યું છે કે વિશ્વમાં કોઈ એવો દેશ નથી કે જ્યાં સાંપ્રદાયિક
સદભાવના બાંગ્લાદેશ કરતા વધારે સારી હોય.જો ગૃહ પ્રધાન અમિત શાહ કેટલાક મહિના માટે
અમારા દેશમાં રોકાશે તો તેમને આ બાબત નજરમાં આવશે. ભારતની સંસદમાંથી વિધેયક પસાર
થયું છે. તેમા ત્રણ પડોશી દેશ (બાંગ્લાદેશ,
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન)ના બિન-મુસ્લિમ શરણાર્થિઓને નાગરિકતા આપવાની
જોગવાઈ છે. વિધેયક અંગે ચર્ચા કરતા શાહે ત્રણ દેશમાં ધર્મને લઈ ભેદભાવ રાખી લઘુમતિ
સમુદાય પર થતા અત્યાચાર, ધર્મ પરિવર્તન તથા
તેઓ ત્યાંથી ભાગીને આવી રહ્યા છે હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
નાગરિકતા બિલ બુધવારે રાજ્યસભામાંથી પણ પસાર થઈ
ગયું છે. જેના પક્ષમાં 125, જ્યારે વિરોધમાં 105 મત પડ્યા હતા.
અંદાજે 8 કલાક ચાલેલી આ ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે, આ બિલ ઐતિહાસિક
ભૂલને સુધારવા માટે લાવવામાં આવ્યું છે. અમે ત્રણેય દેશોની એવા લઘુમતીઓને નાગરિકતા
આપીશું, જે તેમના ધર્મ, અને પૂત્રવધુ-દિકરીઓની લાજ બચાવવા
માટે અહીંયા આવ્યા છે. લોકસભાએ આ વિધેયકને સોમવારે મંજૂરી આપી હતી. નીચલા ગૃહમાં
વિધેયક પર 14 કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ મોડી રાતે 12.04 વાગ્યે મતદાન
થયું હતું. બિલના પક્ષમાં 311 અને વિરોધમાં 80 વોટ પડ્યા હતા.
સુધારા વિધેયકમાં 3 પડોશી દેશોના
લઘુમતિ શરણાર્થીઓ (હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને
ઈસાઈ)ને નાગરિકતા મળવાનો સમય 11 વર્ષથી ઘટાડીને 6 વર્ષ કરવામાં
આવ્યો છે. મુસ્લિમો અને અન્ય દેશોના નાગરિકો માટે આ અવધી 11 વર્ષ જ રહેશે.
જે બિન-મુસ્લિમોને 31મી ડિસેમ્બર,2014ના રોજ અથવા તે
અગાઉ માન્યતા ધરાવતા પ્રવાસને લગતા દસ્તાવેજો વગર જ ભારતમાં પ્રવેશ કર્યો છે અથવા
તેમના દસ્તાવેજોની માન્યતા પૂર્ણ થઈ ગઈ છે તેમણે ભારતીય નાગરિકા પ્રાપ્ત કરવાની
સુવિધા રહેશે. જ્યારે બિન માન્ય દસ્તાવેજો હોવાનું જાણ થવાના સંજોગોમાં મુસ્લિમોને
જેલ અથવા દેશ નિકાલ કરવાની જોગવાઈ રહેશે.
બાંગ્લાદેશના વિદેશ પ્રધાન મોમેન ગુરુવારે ત્રણ
દિવસના પ્રવાસ પર ભારત આવી રહ્યા છે. તેઓ 13મી ડિસેમ્બરના રોજ 6ઠ્ઠા ઇન્ડિયન ઓસન ડાયલોગમાં પણ ભાગ લેશે. તેમા
હિન્દ-પ્રશાંત વિસ્તારના મહત્વના મુદ્દાઓ પર મંત્રણા થશે. આ સાથે વિદેશ પ્રધાન એસ
જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટ પણ કરશે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ
વર્ષ જૂન મહિનામાં યોજાયેલા આસિયાન સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સ્વતંત્રતા, ખુલ્લાપણા અને સુધારા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ઈન્ડિયન ઓસન ડાયલોગમાં પડોશી દેશો સાથે મળી તેને આગળ વધારવાનો પ્રયાસ કરશે.