વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બ્રિક્સ બિઝનેસ ફોરમમાં ભાગ લીધો હતો
બ્રાસીલિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે
બ્રિક્સ બિઝનેસ ફોરમમાં ભાગ લીધો હતો. સમિટ સિવાય તેમણે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર
બોલ્સોનારો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ
શી જિનપિંગ સાથે દ્વીપક્ષીય મુલાકાત કરી હતી. મોદીએ બ્રાઝિલમાં ભારતીયોને વીઝા
મુક્ત પ્રવેશ આપવાના નિર્ણય વિશે રાષ્ટ્રપતિ બોલ્સોનારોનો આભાર માન્યો હતો. તે
સાથે જ મોદીએ તેમને 2020માં ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય
અતિથિ તરીકે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેને બોલ્સોનારોએ સ્વીકારી લીધું
છે. વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, બ્રાઝિલના
રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે બિઝનેસ ડેલિગેશન સાથે આવશે. તેઓ અહીં અંતરિક્ષ અને
રક્ષા ક્ષેત્રે સહયોગમાં સમજૂતી કરાર કરે તેવી શક્યતા છે.
મોદી આ પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર
પુતિનને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે વેપાર, સુરક્ષા અને સંસ્કૃતિ જેવા મુદ્દે
ચર્ચા થઈ હતી. પુતિને મોદીને આગામી વર્ષે મોસ્કોમાં થનારી વિક્ટ્રી ડે
સેલિબ્રેશનમાં આમંત્રણ આપ્યું હચું. આ વિશે મોદીએ ખુશી વ્યક્ત કરીને આ આમંત્રણ
સ્વીકારી લીધુ છે. પુતિને કહ્યું કે, તેમની મોદી સાથે આ એક વર્ષમાં ચોથી
વખત મુલાકાત થઈ છે. આ મુલાકાતોના કારણે જ ભારત-રશિયા સાથેના સંબંધો સારા બન્યા છે.
બંને વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં 17 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.
મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ
મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે જિનપિંગની મહાબલીપુરમ યાત્રા વિશે વાત કરી હતી.
મોદીએ કહ્યું, ચેન્નાઈની મુલાકાતે અમારી યાત્રાને એક નવી ઉર્જા અને ગતિ
આપી છે. એજન્ડા વગર એકબીજાના દેશોની સ્થિતિ, વૈશ્વિક પરિસ્થિતિ અને મનને જાણવાના
પ્રયત્નમાં અમે સફળ રહ્યા છીયે. ચેન્નાઈમાં જે વાતો થઈ તે વિશે અમારી ટીમ કામ કરી
રહી છે. ત્યારપછી જિનપિંગે મોદીને 2020માં ચીનમાં થનારા ત્રીજા અનઔપચારિક
શિખર સંમેલન માટે આમંત્રણ આપ્યું છે. તેના માટે તારીખ અને સ્થળ પછી નક્કી કરવામાં
આવશે.