મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી નવા પાકના આગમનથી ભાવમાં ઘટાડો થશે
કેન્દ્ર સરકારે
દેશભરમાં ટામેટાંના વધતા ભાવથી રાહત આપવા માટે એક યોજના તૈયાર કરી છે. ગ્રાહક
બાબતોના વિભાગે નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નાફેડ) અને
નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન (NCCF)ને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને
મહારાષ્ટ્રમાંથી ટામેટાં ખરીદવા અને ટામેટાના ભાવ ઊંચા હોય તેવા વિસ્તારોમાં તેનું
વિતરણ કરવા જણાવ્યું છે.
દેશમાં મોટાભાગના
સ્થળોએ ટામેટાંના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. સરકારે કહ્યું કે ટામેટાંનો આ તાજો સ્ટોક જે
કેન્દ્રો પર છોડવામાં આવશે તેની ઓળખ છેલ્લા એક મહિનામાં છૂટક કિંમતમાં થયેલા
વધારાના આધારે કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં વપરાશને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો
છે. એટલે કે જ્યાં વપરાશ વધુ હશે ત્યાં તેનો પુરવઠો પણ વધુ હશે.
સરકારે કહ્યું કે
શુક્રવાર એટલે કે 14 જુલાઈથી દિલ્હી-NCRમાં ગ્રાહકોને નવો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે શુક્રવારથી તેઓ ઓછા
ભાવે ટામેટાં ખરીદી શકશે.
દક્ષિણ અને પશ્ચિમી પ્રદેશો કુલ ઉત્પાદનમાં લગભગ 60% યોગદાન
આપે છે
ભારતના લગભગ દરેક રાજ્યમાં ટામેટાંનું ઉત્પાદન થાય
છે. જ્યારે દક્ષિણ અને પશ્ચિમી પ્રદેશો દેશના કુલ ઉત્પાદનમાં લગભગ 60% યોગદાન આપે છે. આ પ્રદેશોમાંથી
વધારાના ઉત્પાદનનો ઉપયોગ ભારતના અન્ય ભાગોમાં ટામેટાંનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવા
માટે થાય છે.
ચોમાસામાં ટામેટાંના
ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ભાવ વધે છે
વિવિધ પ્રદેશોમાં સિઝનના આધારે ઉત્પાદનનું પ્રમાણ ઓછું કે વધુ રહે છે. દેશના
મોટાભાગના વિસ્તારોમાં ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે ટામેટાંનું મહત્તમ ઉત્પાદન
થાય છે. જુલાઈ-ઓગસ્ટ અને ઓક્ટોબર-નવેમ્બરમાં ટામેટાંનું ઉત્પાદન ઓછું થાય છે.
જુલાઈમાં ચોમાસું શરૂ થતાં ટામેટાંનું ઉત્પાદન ઘટે છે અને ભાવ વધે છે.
મહારાષ્ટ્ર અને
મધ્યપ્રદેશમાંથી નવા પાકના આગમનથી ભાવમાં ઘટાડો થશે
સરકારે કહ્યું કે દિલ્હી અને આસપાસના શહેરો હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાંથી
સ્ટોક મેળવી રહ્યા છે. સાથે જ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને
આંધ્રપ્રદેશમાંથી ઘણા રાજ્યોમાં ટામેટાંની સપ્લાય થઈ રહી છે. જો કે, મહારાષ્ટ્ર અને
મધ્યપ્રદેશમાંથી ટૂંક સમયમાં નવો પાક આવવાની ધારણા છે. જેના કારણે આવનારા સમયમાં
ભાવ નીચે આવી શકે છે.