ભારત સરકારે કહ્યું- વુહાનમાં 500 ભારતીયોને સુરક્ષિત સ્થાન પર મોકલવામાં આવ્યા છે, તેમને ટૂંક સમયમાં જ એરલિફ્ટ કરાશે
બેઈજિંગ: કોરોના વાઈરસથી હુબેઈ રાજ્યમાં વધુ 25 લોકોના મોત થયા છે. તેના કારણે ચીનમાં મોતનો કુલ આંકડો 132 સુધી પહોંચી ગયો છે. ચીનમાં 6,000 લોકોને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન થયું છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આગામી 10 દિવસમાં સ્થિતિ વધારે ભયાનક થઈ શકે છે. સરકારે લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાનો આદેશ આપ્યો છે. ભારત સરકારે કહ્યું કે, વુહાનમાં 500 ભારતીય છે, જેમને સુરક્ષિત સ્થાન પર રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એર ઈન્ડિયા વુહાનથી લોકોને એર લિફ્ટ કરવા માટે 31 જાન્યુઆરીએ ફ્લાઈટ મોકલે તેવી શક્યતા છે. આ દરમિયાન ચીનમાં વાઈરસથી પીડિત પહેલી ભારતીય મહિલા પ્રીતિ મહેશ્વરીની સ્થિતિમા સુધારો થઈ રહ્યો છે.
એર ઈન્ડિયના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની લોહાણીએ કહ્યું છે કે, લોકોને એર લિફ્ટ કરવા માટે વિમાન સંપૂર્ણ રીતે તૈયાર છે. જોકે તેમણે એવું નથી જણાવ્યું કે, લોકોને વુહાનમાંથી બહાર કાઢવા માટે ક્યારે કામ કરવામાં આવશે. શક્ય છે કે લોકોને એર લિફ્ટ કરવા માટે બોઈંગ 747નો ઉપયોગ કરવામાં આવશે. આ પહેલાં DGCAએ એર ઈન્ડિયાના મુંબઈ-દિલ્હી-વુહાન ફ્લાઈટને ત્યાં જવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પ્રશાસને ચીન અને અન્ય દેશોથી પહોંચેલા નાગરિકોના સ્ક્રીનિંગનો આદેશ આપ્યો છે. જ્યારે બેંગલુરુમાં પણ ચાર લોકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
ચીનના 31 રાજ્યોમાં વાઈરસનું ઈન્ફેક્શન
એક ચેનલના જણાવ્યા પ્રમાણે ચીનમાં મંગળવાર સુધીમાં 31 શહેરોમાં કોરોના વાઈરસનું ઈન્ફેક્શન જોવા મળ્યું છે. તેમાં વુહાન શહેરમાં સૌથી વધારે 3554 કેસ નોંધવામાં આવ્યા છે અને અહીં કુલ 125 લોકોના મોત થયા છે. 1239 દર્દીઓની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી છે. બુંહઈ શહેરમાં 840 નવા કેસ નોંધાયા છે. આ આંકડાઓથી ખ્યાલ આવે છે કે વાઈરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સમગ્ર ચીનમાં કુલ 9239 કેસ નોંધાયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં સૌથી વધારે 60 વર્ષની ઉંમરના લોકો છે. ચીનના સ્વાસ્થય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ વાઈરસ માણસોમાં સંપર્કથી ફેલાઈ રહ્યો છે. હોંગકોંગમાં 8, મકાઉનમાં 7 અને તાઈવાનમાં 8 કેસ નોંધાયા છે.
પંજાબ અને હરિયાણામાં વાઈરસના 16 કેસ સામે આવ્યા
પંજાબ અને હરિયાણામાં મંત્રીઓના જણાવ્યા પ્રમાણે કોરોના વાઈરસના 16 શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે પંજાબના અમૃતસરમાં સ્વાઈન ફ્લૂના કારણે એક બાળકનું મોત થયું છે. એક 28 વર્ષનો યુવક તાજેતરમાં જ ચીનથી પંજાબ પરત આવ્યો છે. તેનામાં કોરોના વાઈરસના લક્ષ્ણ દેખાતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દરેક શંકાસ્પદ દર્દીઓના બ્લડ સેમ્પલ પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. પંજાબના સ્વાસ્થય મંત્રી બલવીર સિંહ સિદ્ધુએ કહ્યું છે કે, દરેક 16 દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.