છોકરીના પિતાની ફરિયાદ પર કેસ નોંધાયો
ઉત્તરપ્રદેશમાં લવ-જેહાદવિરોધી નવા વટહુકમ હેઠળ પહેલી
એફઆઈઆર બરેલી જિલ્લામાં નોંધાઈ છે. દેવરનિયા પોલીસ સ્ટેશને એક યુવતીના પિતાની
ફરિયાદના આધારે શનિવારે રાત્રે 11 વાગ્યે કેસ નોંધાયો હતો. ઉત્તરપ્રદેશના અધિક મુખ્ય
સચિવ(ગૃહ) અવનીશ અવસ્થીએ રવિવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે
શરીફનગર ગામના ટીકારામે કેસ નોંધાવ્યો છે. તેમાં તેમણે આ ગામના ઉવૈશ અહેમદ પર
દીકરીને ફોસલાવીને ધર્માંતરણ કરાવવા પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે. ઉવૈશ વિરુદ્ધ
આઈપીસી અને નવા ધર્માંતરણવિરોધી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને પકડવા
પોલીસની ચાર ટીમ પણ બનાવાઈ છે.
3 વર્ષ પહેલાં ધર્મપરિવર્તન કરવા
દબાણ કર્યું હતું
પોલીસે
જણાવ્યું હતું કે ટીકારામની દીકરી અને ઉવૈશ 12મા ધોરણમાં એક જ શાળામાં ભણતાં
હતાં. પછી ટીકારામની દીકરી બીજી કોલેજમાં જોડાઈ ગઈ, પણ ઉવૈશે તેનો પીછો ન છોડ્યો. તે 3 વર્ષ પહેલાં તેના પર ધર્મ પરિવર્તન
કરાવી નિકાહ કરી લેવા દબાણ કરી રહ્યો હતો. પછી ધમકીઓ આપવા લાગ્યો હતો. એ પછી
છોકરીએ પરિવારને જાણ કરી હતી. પરિવારે ચાલુ વર્ષે જૂનમાં છોકરીના લગ્ન કરી દીધા, પણ એ પછી ઉવૈશ તેનાં પરિવારજનોને
અને તેને હેરાન કરતો રહ્યો. એનાથી કંટાળી તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી.
કાયદાને શનિવારે જ મંજૂરી અપાઈ
હતી: ઉલ્લેખનીય
છે કે રાજ્યપાલ આનંદીબેન પટેલે ઉત્તરપ્રદેશ અનલૉફુલ પ્રોહિબિશન કન્વર્ઝન ઓફ
રિલિજિયસ ઓર્ડિનન્સ 2020ને
શનિવારે મંજૂરી આપી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વડપણ હેઠળ ગત મંગળવારે
કેબિનેટની બેઠકમાં આ વટહુકમને મંજૂરી અપાઈ હતી. લવ-જેહાદવિરોધી બતાવાઈ રહેલા આ
વટહુકમમાં લગ્ન માટે છળ, કપટ, લાલચ કે બળજબરીપૂર્વક ધર્માંતરણ
કરાવવા મામલે 10 વર્ષ
સુધીની જેલ કે સજાની જોગવાઇ છે.
સપા વિધાનસભામાં લવ-જેહાદ કાયદાનો
વિરોધ કરશેઃ સપા-અધ્યક્ષ
તથા પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું હતું કે તેમની પાર્ટી વિધાનસભામાં
લવ-જેહાદ કાયદાનો વિરોધ કરશે. તેમણે કહ્યું હતું કે સરકાર એક તરફ આંતરજાતીય, આંતર ધાર્મિક લગ્નને પ્રોત્સાહન
આપે છે અને બીજી તરફ તેના વિરોધમાં કાયદો ઘડે છે. આ બેવડું વલણ કેમ?