અભિષેક ગામમાં 20 એકર જમીન પર ખેતી કરે છે, મુંબઈમાં લાખોનું સેલરી પેકેજ છોડીને આવ્યા
ઔરંગાબાદના બરૌલી ગામના રહેવાસી અભિષેક કુમાર મુંબઈની એક
મલ્ટીનેશનલ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર હતા. સારો એવો
પગાર હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક તેમણે શહેરથી ગામમાં
પરત આવીને ખેતી કરવાનો પ્લાન બનાવ્યો. 2011માં ગામમાં પરત આવ્યા. આજે તેઓ 20 એકર જમીન પર ખેતી કરી રહ્યા છે.
ધાન, ઘઉં, લેમન ગ્રાસ અને શાકભાજીની ખેતી કરી
રહ્યા છે. બે લાખથી વધુ ખેડૂતો દેશભરમાં તેમની સાથે જોડાયેલા છે. વર્ષે 25 લાખ રૂપિયાનું ટર્નઓવર છે.
33 વર્ષના અભિષેકનો અભ્યાસ નેતરહાટ
સ્કૂલમાં થયો. એ પછી તેમણે પુણેથી એમબીએ કર્યું. 2007માં એચડીએફસી બેંકમાં નોકરી મળી
ગઈ. ત્યાં તેમણે 2 વર્ષ
કામ કર્યું. એ પછી તેઓ મુંબઈ ચાલ્યા ગયા. ત્યાં તેમણે એક ટૂરિઝમ કંપનીમાં 11 લાખના પેકેજ પર પ્રોજેક્ટ મેનેજર
તરીકે જોઈન કર્યું. લગભગ એક વર્ષ સુધી અહીં પણ કામ કર્યું.
અભિષેક કહે છે, ‘મુંબઈમાં કામ કરતી વખતે હું
ત્યાંની કંપનીઓમાં તહેનાત સિક્યોરિટી ગાર્ડને મળતો હતો. તેઓ સારા ઘરના લોકો હતા, તેમની પાસે જમીન પણ હતી, પણ રોજગારી માટે ગામથી સેંકડો કિમી
દૂર તેઓ અહીં જેમતેમ ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમની હાલત જોઈને ઘણીવાર હું વિચારતો
હતો કે કંઈક કરું જેથી એવા લોકોને ગામમાંથી પલાયન ન કરવું પડે.
તેઓ કહે છે, ‘2011માં હું ગામમાં આવ્યો. પ્રથમ તો
પરિવારની તરફથી મારા નિર્ણયનો વિરોધ થયો. ઘરના લોકોનું કહેવું હતું કે સારીએવી
નોકરી છોડીને ગામમાં આવી જવું યોગ્ય નથી. ગામના લોકોએ મજાક ઉડાવી કે ભણીગણીને ખેતી
કરવા આવ્યો છે, પણ
હું નક્કી કરી ચૂક્યો હતો. મેં પિતાજીને કહ્યું કે એક મોકો તો આપો, પછી જે કંઈ થશે એની જવાબદારી મારી
હશે.
અભિષેકનું ફેમિલી બેકગ્રાઉન્ડ ખેતીનું રહ્યું છે. તેમના
દાદા અને પિતા ખેતી કરતા હતા. ખેતીની બેઝિક ચીજો વિશે તેમને અગાઉથી ખબર હતી.
કેટલીક જાણકારી તેમણે ફાર્મિંગ સાથે જોડાયેલા લોકો પાસેથી અને કેટલીક ગૂગલની મદદથી
મેળવી હતી. તેમણે એક એકર જમીનથી ખેતીની શરૂઆત કરી. પ્રથમવાર એક લાખના ખર્ચે જરબેરા
ફૂલ લગાવ્યા. એનાથી પ્રથમ વર્ષે જ ચાર લાખની કમાણી થઈ. એના પછી તેમણે લેમન ગ્રાસ, રજનીગંધા, મશરૂમ, શાકભાજી, ઘઉં જેવા અનેક પાકની ખેતી શરૂ કરી.
આજે અભિષેક 20 એકર જમીન પર ખેતી કરે છે. 500થી વધુ લોકોને તેમણે રોજગારી આપી
છે. 2016માં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને સન્માનિત કરી ચૂક્યા છે. બિહાર સરકાર તરફથી પણ
તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે તેતર નામથી એક ગ્રીન ટીની જાત તૈયાર કરી
છે, જેની
પેટન્ટ તેમના નામે છે. આ ચાની ભારે માગ છે. સમગ્ર ભારતમાં તેના ગ્રાહકો છે.
અભિષેક માટે આ સફર આસાન રહી નહોતી, તેમને અનેક પડકારોનો સામનો કરવો
પડ્યો છે. 2011માં જ
તેઓ માર્ગ અકસ્માતનો શિકાર બન્યા હતા. એ પછી કાંખઘોડીની મદદથી અનેક મહિના સુધી
તેમણે ચાલવું પડ્યું હતું. તેઓ કહે છે, ખેતીને લાભનો સ્ત્રોત બનાવી શકાય
છે. એ માટે ઉત્તમ પ્લાનિંગ અને અપ્રોચની જરૂર હોય છે. જે ટામેટાં સીઝનમાં 2 રૂપિયે કિલો વેચાઈ રહ્યા હોય, એને ઓફફ સીઝનમાં વેચવામાં આવે તો 50 રૂપિયાથી વધુના ભાવ મળી શકે છે.
એટલું જ નહીં એને પ્રોસેસિંગ કરીને સ્ટોર કરી લેવામાં આવે તો સારી કિંમતે ઓફફ
સીઝનમાં વેચી શકાય છે.
તેઓ આગળ કહે છે, રજનીગંધાની ખેતી ઘણી લાભદાયી છે.
રજનીગંધાની સમગ્ર દેશમાં ઘણી ડિમાંડ છે. એક હેક્ટરમાં રજનીગંધા ફૂલની ખેતી કરવામાં
ખર્ચ લગભગ દોઢ લાખ રૂપિયા આવશે. એનાથી એક વર્ષમાં પાંચ લાખ સુધીની આવક થઈ શકે છે.
સારી ખેતી માટે જરૂરી
સ્ટેપ્સ
1. ક્લાયમેટ કંડિશનઃ જ્યાં
પણ ખેતી શરૂ કરવી હોય ત્યાંના હવામાન અંગે અભ્યાસ કરવો જોઈએ. એ જમીન પર કેવા કેવા
પાક થઈ શકે છે એ વિશે જાણકારી મેળવવી જોઈએ.
2. સ્ટોરેજઃ પ્રોડક્ટ તૈયાર
થયા પછી આપણે એને સ્ટોર કરવાની વ્યવસ્થા કરવાની રહેશે, જેથી ઓફ્ફ સીઝન માટે
આપણે એને સુરક્ષિત રાખી શકીએ.
3. માર્કેટિંગ અને
પેકેજિંગઃ આ સૌથી મહત્ત્વનું સ્ટેપ છે. પ્રોડક્ટ તૈયાર કર્યા પછી આપણે એને ક્યાં
વેચીશું,
એની
જગ્યા વિશે જાણકારી જરૂરી છે. એના માટે સૌથી ઉત્તમ રીત છે, ત્યાંના લોકલ બજારોમાં
જવું,
લોકો
સાથે વાત કરવી અને ડિમાંડના હિસાબે સમયસર પ્રોડક્ટ પહોંચાડવી. એ ઉપરાંત સોશિયલ
મીડિયા પણ માર્કેટિંગમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.