મેટ્રો કોર્ટના આદેશ સામે ગૃહમંત્રીએ HCમાં અરજી કરી હતી, વધુ સુનાવણી 16મીએ થશે
અમદાવાદ: મેટ્રો કોર્ટે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે આચારસંહિતાના ભંગ બદલ કરેલા આદેશ સામે સ્ટે આપવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે. કોર્ટે રાજ્ય સરકાર અને ફરિયાદીને નોટિસ પાઠવીને જવાબ આપવા આદેશ કરીને વધુ સુનાવણી 16 જાન્યુઆરી પર મુલતવી રાખી છે.
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટની કલમ 127(કે) 1, 127(કે) 2 હેઠળ ગુનો નોંધી પ્રદીપસિંહ જાડેજા સામે આચારસંહિતાનો ભંગ કરવા બદલ સમન્સ પાઠવીને તપાસ કરવા આદેશ કર્યો છે. તેની સામે પ્રદીપસિંહે હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં મેટ્રો કોર્ટના આદેશ પર સ્ટે મૂકવા માગણી કરી છે અને હુકમ રદ કરવા દાદ માગી છે.
2007માં ફરિયાદ :
2007માં કોંગ્રેસના શહેર પ્રમુખ પંકજ શાહે પ્રદીપસિંહ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી ચૂંટણી છતાં પ્રદીપસિંહે પ્રચાર કરતા પેમ્ફલેટ વેચ્યા હતા. જેમાં અસારવાના ધારાસભ્યના નામથી આપણું ગુજરાત, આપણું અસારવા નામે સ્લોગન લખ્યું હતું અને તેના પર નરેન્દ્ર મોદી અને પ્રદીપસિંહ જાડેજાનો ફોટો પણ પ્રિન્ટ કરવામાં આવ્યો હતો.