મેક્રોને ઇસ્લામિક આતંકવાદ અંગે નિવેદન આપ્યું હતું. તેની ઇમરાને ટીકા કરી હતી
ફ્રાન્સે ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે તે મુસ્લિમ
દેશોના દબાણ હેઠળ ઝૂકશે નહીં. ફ્રાન્સે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના
ભૂતપૂર્વ વડા લે. જનરલ અહમદ શુજા પાશાના સંબંધિત સહિત 183 પાકિસ્તાની નાગરિકોના વિઝિટર વિઝા
રદ કરી દીધા છે. એટલું જ નહીં ફ્રાન્સે 118 પાકિસ્તાનીઓને ફરજિયાતપણે ડિપોર્ટ
કરી દીધા છે. મેક્રોન સરકારની આ કાર્યવાહીને સીધી રીતે પાકિસ્તાનના વડાપ્રધાન
ઇમરાન ખાનના ફ્રાન્સ વિરોધી નિવેદન સાથે જોડવામાં આવી રહી છે.
પેરિસમાં પાકિસ્તાનના વાણિજ્ય દૂતાવાસે આ સમાચારને સમર્થન
આપતા કહ્યું કે આઈએસઆઈના ભૂતપૂર્વ વડાની બહેનને હંગામી રીતે રહેવા દેવા આગ્રહ
કરાયો છે. કારણ કે તે તેની બીમાર સાસુની દેખભાળ માટે ફ્રાન્સ આવી છે. પાકિસ્તાને
દાવો કર્યો હતો કે કાનૂની દસ્તાવેજો હોવા છતાં તેના 118 નાગરિકોને ફરજિયાત ડિપોર્ટ કરાયા
છે. તેઓ આ અંગે ફ્રાન્સના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને સ્કૂલમાં પયગમ્બર સાહેબનું
કાર્ટૂન બતાવાતા પેરિસમાં એક યુવકે શાળાના શિક્ષકનું ગળું કાપી હત્યા કરી હતી. આથી
મેક્રોને ઇસ્લામિક આતંકવાદ અંગે નિવેદન આપ્યું હતું. તેની ઇમરાને ટીકા કરી હતી.