મમતાએ કહ્યું - અમે ભાજપ માટે એકલા પૂરતાં, આખા દેશમાં INDIA ગઠબંધન લડશે
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. પીએમ મોદીને હરાવવા માટે 28 દળો દ્વારા રચાયેલા INDIA ગઠબંધનમાં અત્યાર સુધી સીટ વહેંચણી મુદ્દે કોઈપણ પ્રકારની સમજૂતી થતી દેખાઈ નથી. ત્યારે આ સૌની વચ્ચે મમતા બેનર્જીએ સૌને ચોંકાવતા અને ગઠબંધનના સાથીઓને મોટો ઝટકો આપતાં કહ્યું છે કે બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ 'એકલા ચાલો રે...' નીતિ અપનાવશે. તે કોઈની સાથે ગઠબંધન નહીં કરે.
મુખ્યમંત્રી મમતાની મોટી જાહેરાત
તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર 24 પરગણા જિલ્લાના ચકલામાં કાર્યકરોના સંમેલન તથા એક રેલીને સંબોધતાં લોકસભા માટે ચૂંટણી અભિયાનનો આરંભ કર્યો હતો. જેમાં તેમણે INDIA ગઠબંધનને ઝટકો આપતાં કહ્યું કે INDIA ગઠબંધન સમગ્ર દેશમાં ભાજપ વિરુદ્ધ લડશે જોકે બંગાળમાં હું એકલી ભાજપ વિરુદ્ધ લડીશ. ન તો અમે કોંગ્રેસ કે ન તો ડાબેરીઓ સાથે સમજૂતી કરીશું.
CAAનો મુદ્દો ઉછાળ્યો
સીએમ મમતા બેનર્જીએ CAA મુદ્દે ભાજપને આડેહાથ લેતાં કહ્યું કે દરેક લોકસભા ચૂંટણી પહેલા મતુઆ સમુદાયના વોટને આકર્ષિત કરવા માટે આ મુદ્દો ઉછાળવામાં આવે છે અને આ ભાજપની એક ચાલ છે. મતુઆ સમુદાયને સંબોધતાં મમતા બેનર્જીએ કહ્યું કે 1971 સુધી બાંગ્લાદેશથી બંગાળ આવેલા મતુઆ સમુદાયના લોકો ભારતના નાગરિકો છે. જો તે આ દેશના નાગરિક નથી તો તમને મફત રેશન, સ્વાસ્થ્ય સાથી, પાનકાર્ડ, આધારકાર્ડ કેવી રીતે મળી રહ્યા છે?