રવીન્દ્રસિંહ ભાટીએ કહ્યું- રૂપાલાએ કરેલી ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણ છે, રાજનીતિમાં દરેક નેતાએ ટીકા-ટિપ્પણીથી બચવું જોઈએ
વડોદરા: વડોદરા નજીક આવેલા
ખટંબામાં રાજસ્થાન ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ક્ષત્રિય
આગેવાન અને બાડમેર લોકસભાના અપક્ષ ઉમેદવાર રવીન્દ્રસિંહ ભાટી ઉપસ્થિત રહ્યાં હતાં.
જ્યાં તેમણે વડોદરામાં રહેતા રાજસ્થાની સમાજના 36 કોમના ભાઇબંધુઓ સાથે
મુલાકાત કરી હતી. જ્યાં તેમણે આવનારી લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાની સમાજના લોકો
ત્યાં આવીને પોતાના તરફી મતદાન કરે તે માટે વિનંતી કરી હતી. રવીન્દ્રસિંહ ભાટીને મળવા માટે મોટી સંખ્યામાં
યુવા વર્ગ દોડી આવ્યો હતો.
હું મારા ભાઈઓને અપીલ કરવા આવ્યો છુંઃ રવિન્દ્રસિંહ ભાટી
રવિન્દ્રસિંહ ભાટીએ જણાવ્યું હતું કે, ગુજરાત સાથે મારા
ભાઇઓનો જુડાવ રહ્યો છે અને કર્મભૂમી રહી છે. હું પ્રવાસી ભાઇઓને નિવેદન કરવા માટે
આવ્યો છું કે, આવનારી લોકસભા ચૂંટણીમાં તમારા નાના ભાઇ રવિન્દ્રસિંહને સાથ અને સહયોગ આપજો.
તેવી અપીલ કરવા માટે આવ્યો છું.
રાજકીય નેતાઓએ બોલવા પર સંયમ રાખવો જોઈએ:
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજનીતિમાં નેતાઓએ
ટીકા-ટિપ્પણીથી બચવુ જોઇએ અને એવી ટિપ્પણી ન કરવી જોઇએ કે જેનાથી કોઇને ઠેસ
પહોંચે. રૂપાલાએ કરેલી ટિપ્પણી ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે અને આવાનારા દિવસોમાં જનતા
તેનો જવાબ આપશે. આવી ટીક્કા-ટિપ્પણી કોઇ પણ સંજોગોમાં સહન કરવી ન જોઇએ. આ સાથે જ
બાડમેર લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર ભાટીએ મોદી સરકારના વખાણ કરતા જણાવ્યું હતું
કે, સરકારમાં બધું સારું ચાલી
રહ્યું છે. મોદી સરકાર 400 બેઠકો જીતશે કે કેમ? તે મતદારો નક્કી કરશે.