મૃત્યુ બાદ તેમની અંતિમ ઈચ્છાને ધ્યાનમાં રાખી તેમનું અંગદાન કરી દેવામાં આવ્યું
'અંતરિક્ષ પરી' દિવંગત કલ્પના ચાવલાના પિતા બનારસી લાલ ચાવલાનું નિધન થઈ ગયું છે. તેમણે હરિયાણાના કરનાલની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. બનારસા લાલ ચાવલાએ 90 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ વ્યવસાયે એક બિઝનેસમેન હતા પરંતુ તેમણે પોતાનું સંપૂર્ણ જીવન સમાજ સાથે સબંધિત કામમાં વીતાવ્યું. તેઓ પોતાની દીકરી કલ્પના ચાવલા પર અલગ-અલગ સંસ્થાઓમાં બાળકોને લેક્ચર આપીને આગળ વધવાનો મેસેજ આપતા હતા. તેમનો પ્રયત્ન હંમેશા એ જ રહેતો હતો કે, તેઓ પર્યાવરણને સુરક્ષિત બનાવે. તેના માટે તેઓ સમાજમાં કામ કરતા રહેતા હતા.
બનારસી લાલ ચાવલાનું અંગદાન કરવામાં આવ્યું
મૃત્યુ બાદ તેમની અંતિમ ઈચ્છાને ધ્યાનમાં રાખી તેમનું અંગદાન કરી દેવામાં આવ્યું છે. 90 વર્ષીય બનારસી લાલ ચાવલા થોડા સમયથી અસ્વસ્થ હતા. દિલ્હી-ચંદીગઢ નેશનલ હાઈવે પર સ્થિત CHD સિટીમાં તેમના પુત્ર સંજયના ફ્લેટમાં તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક તેમની તબિયત લથડતા તેમને આઈટીઆઈ ચોક પાસેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
કલ્પના ચાવલાના પ્રારંભિક શિક્ષણના સાક્ષી એવા ટાગોર બાલ નિકેતનના આચાર્ય ડો. રાજન લાંબાએ જણાવ્યું કે, સ્વર્ગસ્થ ચાવલા જીવનભર સમાજ સેવાને સમર્પિત રહ્યા હતા. તેમના પ્રયાસોને કારણે આજે કરનાલમાં જરૂરિયાતમંદોની મદદ માટે અનેક કામો થઈ રહ્યા છે. દિવંગત ચાવલાના પૌત્ર ઉદયે જણાવ્યું કે, તેમની વસિયતમાં દાદાએ તેમના મૃત્યુ બાદ તેમના શરીરનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે પ્રમાણે તેમનું અંગદાન કરવામાં આવી રહ્યું છે.