આ સીરિઝમાં આઝાદ હિંદ ફૌજના સૈનિકોની કુરબાનીની વાત કરવામાં આવી છે
મુંબઈઃ ‘આઝાદ હિંદ ફૌજ’નું નામ આવતા જ આપણા મનમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું નામ યાદ આવે છે. કબીર ખાન એમેઝોન પર ‘ધ ફર્ગોટન આર્મી’ સીરિઝ લઈને આવી રહ્યાં છે. આ સીરિઝમાં આઝાદ હિંદ ફૌજના સૈનિકોની કુરબાનીની વાત કરવામાં આવી છે. આ સીરિઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે આ સૈનિકોએ દેશ માટે કેટલો ત્યાગ કર્યો હતો. આ સીરિઝ 24 જાન્યુઆરીથી સ્ટ્રીમ થશે. નવાઈની વાત એ છે કે આ સીરિઝમાં નેતાજીનો રોલ માત્ર 30 સેકન્ડનો જ જોવા મળશે.
ત્યાગ તથા લવ સ્ટોરી ભૂલાવી દેવામાં આવી
ટ્રેલરમાં જે સૈનિકોની લવ સ્ટોરી પર ફોકસ કરવામાં આવ્યું છે, તેમાં સની કૌશલ તથા શરવરી છે. સીરિઝમાં સંગીત પ્રીતમનું છે. ટ્રેલરના એક સીનમાં બતાવવામાં આવ્યું છે કે ફૌજના સૈનિક બનેલા સની કૌશલ કહે છે, એક દિન હિન્દુસ્તાન હમારી ઈસ કુર્બાની કો યાદ રખેગા, શાયદ સમજ નહીં પાયેંગા પર યાદ જરૂર કરેંગા. આ સીરિઝ પાંચ એપિસોડની છે. મેકર્સે દાવો કર્યો છે આ સીરિઝ પાછળ 150 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
કબીર ખાને ડિજિટલ ડેબ્યૂ કર્યું
ઓટીટી પ્લેટફોર્મ પર કબીર ખાન પહેલી જ વાર ‘ધ ફર્ગોટન આર્મી’ લઈને આવ્યા છે. તેમણે સીરિઝને લઈ કહ્યું હતું કે આ સીરિઝની વાર્તાએ તેમને ભાવુક કરી દીધા હતાં. તેમણે આ સબ્જેક્ટ પર પહેલાં એક ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. આ સૈનિકોની વીરતા હંમેશા તે દર્શકોને બતાવવા ઈચ્છતા હતાં. આ સૈનિકોએ ભારતની આઝાદી માટે ભારતની ધરતીથી દૂર જંગ લડ્યાં હતાં. આપણે એ વાત ક્યારેય ના ભૂલવી જોઈએ કે આજે આપણે જે સ્વતંત્રતાનો આનંદ લઈએ છીએ, તે અનેક સૈનિકોના ત્યાગનું પરિણામ છે.
અહીંયા શૂટિંગ થયું હતું
મેકર્સે ઇમ્ફાલ, બર્માના પહાડી વિસ્તારને બતાવવા માટે થાઈલેન્ડમાં શૂટિંગ કર્યું હતું. અહીંયા એક મહિના સુધી જુનિયર આર્ટિસ્ટ સાથે શૂટિંગ કરવામાં આવ્યું હતું. મુંબઈ તથા સિંગાપોરમાં પણ શૂટિંગ કરવામાં આવ્યું હતું.