ત્રણ દિવસની મુલાકાતમાં નડેલા દિલ્હી, બેંગલુરુ અને મુંબઈ જાય તેવી શક્યતા
બેંગલુરુ: માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા 24 ફેબ્રુઆરીએ ભારત આવે તેવી શક્યતા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે નડેલા 24-26 ફેબ્રુઆરી દરમિયાન ભારત મુલાકાતે આવે તેવી શક્યતા છે. આ દરમિયાન તેઓ દિલ્હી, બેંગલુરુ અને મુંબઈની મુલાકાત લેશે. નડેલા આ દરમિયાન દેશના પ્રમુખ ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. રિપોર્ટ પ્રમાણે માઈક્રોસોફ્ટ તરફથી એવો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે કે, નડેલાની વડાપ્રધાન મોદી સાથા મુલાકાત ફિક્સ થાય. જોકે માઈક્રોસોફ્ટ તરફથી નડેલાની ભારત મુલાકાત વિશે કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી. તેમની આ મુલાકાત એટલા માટે પણ મહત્વની માનવામાં આવે છે કારણકે ગયા મહિને જ તેમણે ભારતની ઈમિગ્રેશન પોલિસી (CAA) સામે સવાલ ઉભા કર્યા હતા.
CAA વિશે નડેલાના નિવેદનની ભાજપે નિંદા કરી હતી
ગયા મહિને નડેલાએ નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન વિશે કહ્યું હતું કે, ભારતમાં જે થઈ રહ્યું છે તે દુખદ છે. કોઈ અપ્રવાસી બાંગ્લાદેશી ભારતમાં મોટી કંપની શરૂ કરે અથવા ઈન્ફોસિસ જેવી કંપનીનો સીઈઓ બને તો મને ખુશી થશે. નડેલાના આ નિવેદનની ભાજપે નિંદા કરી હતી. ત્યારપછી માઈક્રોસોફ્ટે નડેલા તરફથી નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, દરેક દેશેને તેમની સીમાઓની સુરક્ષાનો અધિકાર છે.
ટેક્નોલોજી સેક્ટરની વિદેશી કંપનીઓ વિરુદ્ધ સરકાર સખત
માઈક્રોસોફ્ટ અને ટેક્નોલોજી સેક્ટરની અન્ય કંપનીઓ માટે ભારત એક મોટુ બજાર છે. હૈદરાબાદમાં માઈક્રોસોફ્ટનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે. સરકાર ટેક્નોલોજી સેક્ટરની વિદેશી કંપનીઓ માટે નિયમો સખત કરી રહી છે. ગયા વર્ષે ભારતમાં પણ ડેટા સ્ટોર કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તે અમેરિકા બહાર કંપનીનું સૌથી મોટુ સેન્ટર છે. ભારતીય મૂળના નડેલાએ પણ હૈદરાબાદથી જ અભ્યાસ કર્યો છે.
જેફ બેજોસને ભારતનો વિરોધ સહન કરવો પડ્યો હતો
ગયા મહિને એમેઝોનના સીઈઓ જેફ બેજોસ ભારતની મુલાકાતે આવ્યા હતા પરંતુ વડાપ્રધાન કે સરકારના કોઈ અધિકારીએ તેમની સાથે મુલાકાત નહતી કરી. વાણીજ્ય મંત્રી પિયુષ ગોયલે એમેઝોનની નીતિઓ સામે સવાલ ઉભા કર્યા હતા. રિટેલ વેપારીઓએ પણ હેજોસનો વિરોધ કર્યો હતો. એમેઝોન વિરુદ્ધ કોમ્પિટીશન કમીશન ઓફ ઈન્ડિયા પણ તપાસ કરી રહી છે.