કાકરે કહ્યુ હતુ કે, ગાઝા અને વેસ્ટ બેન્કમાં માસૂમ બાળકો અને નિર્દોશ નાગરિકોના સંહારના કારણે પાકિસ્તાન સહિત દુનિયાભરના મુસ્લિમો દર્દ અનુભવી રહ્યા છે
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધમાં તબાહી અને બરબાદીનો સામનો કરી રહેલા ગાઝાના નાગરિકોના સમર્થનમાં પાકિસ્તાની સરકારે નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાનના કાર્યકારી મંત્રી અનવારુલ કાકરે ગુરુવારે આ બાબતની જાહેરાત કરીને લોકોને કહ્યુ હતુ કે, પેલેસ્ટાઈનના લોકોના સમર્થનમાં નવા વર્ષની ઉજવણીમાં લોકો સંયમ દાખવે. એમ પણ પાકિસ્તાનમાં ઈસ્લામિક વિચારધારા ધરાવતા જૂથોના વિરોધના કારણે નવા વર્ષની ઉજવણી મોટા પાયે થતી નથી.ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાને એલાન કર્યુ છે કે, સરકાર દ્વારા પેલેસ્ટાઈનની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને નવા વર્ષના કોઈ પણ પ્રકારના આયોજન પર રોક લગાવશે. સાત ઓકટોબરે યુધ્ધ શરુ થયા બાદ ઈઝરાયેલી સેનાના હુમલામાં અત્યાર સુધી પેલેસ્ટાઈનના 21000થી વધારે નાગરિકો માર્યા ગયા છે. ઈઝરાયેલે ગાઝામાં અત્યાચાર અને હિંસાની તમામ હદો વટાવી દીધી છે.
કાકરે કહ્યુ હતુ કે, ગાઝા અને વેસ્ટ બેન્કમાં માસૂમ બાળકો અને નિર્દોશ નાગરિકોના સંહારના કારણે પાકિસ્તાન સહિત દુનિયાભરના મુસ્લિમો દર્દ અનુભવી રહ્યા છે. પાકિસ્તાને પેલેસ્ટાઈન માટે બે સહાય પેકેજ મોકલ્યા છે અને ત્રીજુ પેકેજ મોકલવાની તૈયારી ચાલી રહી છે. ગાઝામાં ઘાયલ થયેલા લોકોને ત્યાંથી બહાર કાઢવા માટે જોર્ડન અને ઈજિપ્ત સાથે પણ પાકિસ્તાનની વાતચીત ચાલી રહી છે. પાકિસ્તાને વૈશ્વિક સ્તરે પણ પેલેસ્ટાઈનના લોકો પર થઈ રહેલા અત્યાચાર તરફ દુનિયાનુ ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે.