પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે, આ હુમલો નોર્થ વઝિરિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં થયો છે
પાકિસ્તાનમાં ગુરુવારે સાંજે સેનાના બે કાફલાને ટાર્ગેટ
કરવામાં આવ્યા છે. એમાં 20 સૈનિકનાં
મોત થયા હોવાની માહિતી મળી છે. પહેલો હુમલો નોર્થ વઝિરિસ્તાન જ્યારે બીજો ખૈબર
પખ્તુનખ્વા વિસ્તારમાં થયો છે. મૃત્યુ પામેલા સૈનિકોની સંખ્યામાં વધારો થઈ શકે છે, કારણ કે મોટા ભાગના સૈનિકોની હાલત
ગંભીર જણાવવામાં આવી રહી છે.
પાંચ મહિનામાં પાકિસ્તાની સૈનિકોના કાફલા પર આ ચોથો હુમલો
છે. કુલ મળીને એમાં 50થી
વધારે સૈનિકોનાં મોત થયાં છે. ગ્વાદરનો હુમલો તો સરકાર અને સેના બંને માટે ચિંતાનો
વિષય છે. અહીં પાકિસ્તાન અને ચીન મળીને પોર્ટ બનાવી રહ્યા છે. આ વિસ્તાર
બલુચિસ્તાન અને નોર્થ વઝિરિસ્તાનની સીમા પર છે.
સેનાએ નિવેદન આપ્યું
ધી
ટ્રિબ્યુનના એક રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાની સેનાએ મીડિયા વિંગ (DG ISPR)એ માત્ર નોર્થ વઝિરિસ્તાનમાં થયેલા
હુમલાની માહિતી આપી છે. એ પ્રમાણે અહીં થયેલા હુમલામાં એક ઓફિસર સહિત 6 સૈનિકનાં મોત થયાં છે. આ હુમલો
રાજમક ગામમાં થયો હતો, ત્યારે
સૈનિકોનો કાફલો પેટ્રોલિંગ પછી કેમ્પ પર પરત ફરી રહ્યો હતો.
બીજા હુમલાની માહિતી નથી આપી
પાકિસ્તાની
સેનાના મીડિયા વિંગે શુક્રવાર સવાર સુધીમાં ખૈબરમાં થયેલા બીજા હુમલાની માહિતી આપી
નથી. જ્યારે આ હુમલો વધારે ઘાતક હતો અને તેમાં 14 સૈનિકોનાં મોત થયા હોવાની માહિતી
મળી છે. તેમાં કમાન્ડર લેવલના ઓફિસર પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. માનવામાં
આવે છે કે સૈનિકોની એક ગાડી ઓરમારામાં આવેલા ગેસ એન્ડ ઓઈલ પ્લાન્ટથી પરત આવી રહી
હતી. ત્યારે જ તેને IID દ્વારા
ઉડાવી દેવામાં આવી. માનવામાં આવે છે કે આ દરમિયાન સૈનિકો અને હુમલાખોરો વચ્ચે
ઘણીવાર સુધી ગોળીબાર પણ થયો હતો. સૈનિકો ખુલ્લી જગ્યા પર હતા, જ્યારે હુમલાખોરો ઓટમાં હતા.
ઈમરાને રિપોર્ટ માગ્યો
ઘટનાની
માહિતી મળતાં વડાપ્રધાન ઈમરાન ખાને આર્મી ચીફ જનરલ બાજવા સાથે ફોન પર વાતચીત કરીને
ઘટના વિશે માહિતી લીધી હતી. સૈનિકોની બે ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર ગયા મહિનાઓમાં ઘણા હુમલા કરવામાં આવ્યા છે, પરંતુ ખૈબર અને વઝિરિસ્તાનમાં આ
પ્રમાણેના હુમલાની નવી વાત છે.