ભારતે ઈંગ્લેન્ડને ધોળા દિવસે તારા બતાવતાં સતત 4 ટેસ્ટ મેચમાં ધૂળ ચટાડતાં સિરીઝ જીતી લીધી. જેમાં સ્પિનરોનો દેખાવ શાનદાર રહ્યો.
ભારત અને ઈંગ્લેન્ડ
વચ્ચે સિરીઝની પાંચમી ટેસ્ટ મેચ ધર્મશાળામાં રમાઈ. જેમાં
રવિચંદ્રન અશ્વિને ઈંગ્લીશ બેટર્સને પરેશાન કરી દીધા. ધર્મશાળા ટેસ્ટમાં અશ્વિને
પ્રથમ દાવમાં 4 વિકેટ અને બીજા દાવમાં
પંજો મેળવ્યો હતો. આમ ઈંગ્લીશ બેટર્સને અશ્વિનની ફિરકીએ મુસીબત સર્જી દીધી અને
ઈંગ્લેન્ડ પર મોટી હારનુ સંકટ સર્જી દીધું. ધર્મશાળા ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિને
બેન ફોક્સનો શિકાર કરતા જ વિક્રમ નોંધાવી દીધો હતો. અશ્વિને ફોક્સની વિકેટ હાંસલ
કરવા સાથે જ મેચમાં બીજી ઈનિંગમાં પંજો નોંધાવ્યો હતો. આ સાથે જ તેણે મહારેકોર્ડ
પોતાને નામ કર્યો હતો. ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેને
અશ્વિને હવે પંજાના મામલામાં પાછળ છોડી દીધા છે. અશ્વિન હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી
વધારે પાંચ વિકેટ મેળવનારો ભારતીય બોલર છે.
આ પહેલા અશ્વિન અને
કુંબલે બંને 35-35 પાંચ
વિકેટ હોલ સાથે બરાબરી પર હતા. પરંતુ અશ્વિને એક વાર વધારે પાંચ વિકેટ હોલ ઝડપતા જ
તે હવે સૌથી વધારે 36 પાંચ
હોલ વિકેટ મેળવનાર ભારતીય બોલર બન્યો છે. અશ્વિને આ સાથે જ હવે
રિચર્ડ હેડલીની 36 હોલ
વિકેટના રેકોર્ડની બરાબરી પણ કરી લીધી છે. જ્યારે દિગ્ગજ સ્પિનર શેન વોર્નથી માત્ર
વધુ એક 5 વિકેટ હોલ દૂર છે. શેન
વોર્ન 37 પાંચ
વિકેટ હોલ ધરાવે છે. 100મી ટેસ્ટમાં ફાઈફર
ઝડપનારો અશ્વિન વિશ્વનો ચોથો બોલર છે. તેના પહેલા મુથૈયા મુરલીધરન અને શેન વોર્ન 100મી
ટેસ્ટમાં આ સિદ્ધી હાંસલ કરી ચુક્યા છે. જોકે ડેબ્યૂ અને 100મી
ટેસ્ટમાં આમ કરનાર અશ્વિન વિશ્વનો એક માત્ર ખેલાડી નોંધાયો છે. અશ્વિને વર્ષ 2011 માં
વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ મેચમાં જ 5 વિકેટ
હોલ ઝડપી હતી.