કેન્દ્ર સરકારે ચીન માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી, કહ્યું- લોકો ત્યાં ન જાય
દિલ્હી: ચીનમાં ગુરૂવારે સવાર સુધીમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુઆંક વધીને 560 થયો છે. બીજી તરફ વુહાન શહેરમાં બુધવારે જન્મના 30 કલાક બાદ નવજાત શિશુનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ વાયરસથી સંક્રમિત થનાર તે સૌથી નાની ઉંમરનો બીમાર છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે નવજાતની માતાના ગર્ભમાં અથવા તો જન્મના તુરંત બાદ તેને ચેપ લાગ્યો હોવાની આશંકા છે કારણ કે તેની માતાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે તકેદારીના ભાગરૂપે દેશમાં 5123 લોકોને ઘરોમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
આ પહેલા દિલ્હીમાં કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ સમીક્ષા બેઠકમાં કહ્યું- કેન્દ્રએ ચીન માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે જેમાં લોકોને ચીનનો પ્રવાસ ન કરવા માટે જણાવ્યું છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે 741 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી કેરળના ત્રણ લોકોના પોઝિટીવ રિપોર્ટ છે જ્યારે બાકીના 738 લોકોનો રિપોર્ટ નેગેટિવ છે. કેરળમાં ત્રણ કેસની ખરાઇ થઇ ચૂકી છે. રાજ્યમાં 2421 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે તેમાંથી 100 લોકોને અલગ અલગ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
15 જાન્યુઆરી બાદ ચીન ગયેલા લોકોની જરૂરિયાત પડશે તો તપાસ થશે
સમીક્ષા બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું કે જે વ્યક્તિ 15 જાન્યુઆરી બાદથી અત્યાર સુધી ચીન ગઇ હશે તેમની જરૂરિયાત પડશે તો તપાસ થશે અને દેખરેખ હેઠળ રાખવામાં આવશે. બેઠકમાં સ્વાસ્થ્ય, વિદેશ, ઉડ્ડયન, હેલ્થ રિસર્ચ, ગૃહ અને રક્ષા મંત્રાલયથી જોડાયેલાં અધિકારીઓ ઉપસ્થિત હતાં. વિદેશ મંત્રાલયે ચીનમાં રહેનારા ભારતીયો માટે હોટલાઇન નંબર અને ઇમેલ જાહેર કર્યા છે. જરૂરત પડે તો ભારતીયો આ નંબરો પર 8618610952903,
8618612083629 ફોન કરીને મદદ માંગી શકે છે. સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યા થવા પર 24 કલાક ચાલુ રહેનારા હેલ્પલાઇન નંબર+91-11-23978046 પર સંપર્ક કરી શકાય છે. તે સિવાય ncov2019@gmail.com પણ આપવામાં આવ્યું છે.
ચીનમાં મરનારાઓની સંખ્યા 500ને પાર કરી ગઇ
ચીનમાં અત્યાર સુધી 560 લોકોનો જીવ ગયો છે. બીજી તરફ હોંગકોંગ અને ફિલીપાઇન્સમાં 1-1 યુવકનું મૃત્યુ થયું છે. ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે કોરોના વાયરસથી સંક્રમિત 3387 નવા કેસ સામે આવ્યા છે. તેમાં 431 ગંભીર રીતે બીમાર છે જ્યારે 262 લોકો ઠીક થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ચીનમાં સોમવારે 1000 બેડની મેકશિફ્ટ હોસ્પિટલ ખોલવામાં આવી હતી. એક તરફ 1300 બેડ વાળી હોસ્પિટલ ગુરૂવાર સુધી તૈયાર થઇ જશે. બન્ને હોસ્પિટલને આર્મીના ડોક્ટર્સ દ્વારા સંચાલિત કરવામાં આવશે.