આમંત્રણ આપતા પહેલા વિદેશ મંત્રાલય દ્વારા વિચાર કર્યા પછીપ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સાથે પરામર્શ થાય છે
પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીની દિલ્હી સહિત તમામ રાજ્યોમાં આ ઐતિહાસિક દિવસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આપણા દેશની એવી પરંપરા છે કે પ્રજાસત્તાક દિવસના અવસરે આપણે આપણા મિત્ર દેશના રાષ્ટ્રીય નેતાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરીએ છીએ. વર્ષોથી ચાલતી આ પરંપરા આ વખતે પણ ચાલુ છે. આ વખતે ભારતે અમેરિકન રાષ્ટ્રપતિને પ્રજાસત્તાક દિવસના અવસર પર આમંત્રણ આપ્યું હતું, પરંતુ કેટલાક કારણોસર તેમણે આવવામાં અસમર્થતા દર્શાવી હોવાથી 26 જાન્યુઆરી 2024 ના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ભારતના મુખ્ય અતિથિ રહેશે ઇમેન્યુઅલ મેક્રોન
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિએ આમંત્રણ સ્વીકારીને ખુશી વ્યકત કરતા ટ્વીટર પર ભારતનો આભાર માન્યો હતો. ભારત તરફથી આ સન્માન મેળવનાર મેક્રોન ફ્રાંસના છઠ્ઠા નેતા બનશે. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ ભારતનું ખૂબ જ નજીકનું મિત્ર છે. બંને દેશો વચ્ચે સારા વેપાર તેમજ સંરક્ષણ સંબંધ પણ છે. ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ વિમાન પણ ખરીદ્યું છે, જે પાંચમી પેઢીનું અત્યાધુનિક વિમાન છે.
આ રીતે થાય છે મુખ્ય અતિથિની પસંદગી
પ્રજાસત્તાક દિવસ માટે મુખ્ય અતિથિ કોણ હોવું જોઈએ તે નક્કી કરવાની પ્રક્રિયા ઇવેન્ટના લગભગ છ મહિના પહેલાથી જ શરૂ થાય છે. વિદેશ મંત્રાલય આમંત્રણ આપતા પહેલા ઘણી બાબતો પર વિચાર કરે છે. આ પછી પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સાથે ચર્ચા થાય છે. આ સાથે એ પણ વિચારવામાં આવે છે કે ભારત સાથે સંબંધિત દેશનો સંબંધ કેવો છે. વાસ્તવમાં પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય અતિથિ બનવાનું આમંત્રણ આમંત્રિત દેશના રાષ્ટ્રીય નેતાનું ભારત અને જે તે દેશ વચ્ચેની મિત્રતાની નિશાની છે. જે ભારતીય વિદેશ મંત્રાલય આમંત્રિત દેશ સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે કરે છે. આ ઉપરાંત આમંત્રિત મહેમાનોને આમંત્રિત કરવાથી અન્ય કોઈ દેશ સાથેના આપણા સંબંધો બગડે નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
આવી રહે છે પ્રક્રિયા
વિદેશી મહેમાનોને આમંત્રણ આપતા પહેલા, ભારતના વિદેશ મંત્રાલય પ્રથમ મુખ્ય અતિથિની પસંદગી કરે છે. આ પછી મંત્રાલય આ મુદ્દે ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની સલાહ લે છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની મંજૂરી મળ્યા બાદ ભારતીય રાજદૂત મુલાકાત લેનાર દેશના રાષ્ટ્રીય નેતા તે ખાસ દિવસે ઉપલબ્ધ હશે કે કેમ તે જોવે છે. ઘણી વખત તે તારીખે મહેમાનના અન્ય કાર્યક્રમો હોય છે. જેમ આ વખતે પણ અમેરિકાના રાષ્ટ્રપતિને આમંત્રણ મળ્યું હતું પરંતુ અન્ય કાર્યક્રમને કારણે તેઓ ઉપલબ્ધ નહોતા, ત્યારબાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું હતું.