• Home
  • News
  • રશિયાએ કહ્યું- મારિયુપોલમાં હથિયારો હેઠાં મૂકે યુક્રેની સેના, મળ્યો આ જવાબ
post

યુક્રેન માટે રણનીતિક રીતે મહત્વના મારિયુપોલ શહેર પર છેલ્લા ત્રણ અઠવાડિયાથી સતત રશિયન ફોર્સના હુમલા ચાલુ છે. જેના પગલે સ્થાનિક રહીશોએ શહેર છોડીને જવા માટે મજબૂર થવું પડ્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-21 11:27:38

કીવ: રશિયાની સેનાનો મક્કમ રહીને સામનો કરી રહેલા યુક્રેને પોતાના પોર્ટ શહેર મારિયુપોલમાં હથિયાર હેઠાં મૂકવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. રશિયાએ આ શહેરમાં ખુબ તબાહી મચાવી છે. સ્થિતિ એવી છે કે શહેરની 80 ટકા રહેણાંક ઈમારતો ધરાશયી શઈ ગઈ છે. ચારેબાજુ રશિયાની ટેંક જોવા મળી રહી છે. આમ છતાં યુક્રેન નતમસ્તક થવા તૈયાર નથી. હકીકતમાં રશિયાએ યુક્રેનની સેનાને મારિયુપોલમાં હથિયાર હેઠાં મૂકવા જણાવ્યું છે, પરંતુ યુક્રેનના ડેપ્યુટી પીએમે ચોખ્ખે ચોખ્ખુ સંભળાવી દીધુ કે સરન્ડર કરવાનો તો સવાલ જ નથી ઉઠતો. 

ગુપ્તચર એજન્સીનો કમાન્ડર માર્યો ગયો
યુક્રેનના ડેપ્યુટી પીએમએ ન્યૂઝ એજન્સી રોયટર્સના હવાલે કહ્યું કે અમે મારિયુપોલમાં સરન્ડર કરવા તૈયાર નથી. અમારી સેના છેલ્લા શ્વાસ સુધી હુમલાનો જવાબ આપશે. આ બધા વચ્ચે યુક્રેની સેનાએ અલગાવવાદીઓની ગુપ્તચર એજન્સી  (DPR) ના કમાન્ડર સર્ગેઈ માશકિનને મારી નાખવાનો દાવો કર્યો છે. જ્યારે રાજધાની કીવના એક શોપિંગ સેન્ટરમાં આગ ભભૂકી હોવાના પણ રિપોર્ટ્સ છે. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાય છે. અત્રે જણાવવાનું કે રશિયાએ મારિયુપોલમાં સરન્ડર કરવા માટે એક ડેડલાઈન નક્કી કરી છે અને કહ્યું છે કે જો આમ ન થયું તો મોટા પાયે તબાહી થશે. 

સતત ચાલુ છે રશિયાના હુમલા
યુક્રેન માટે રણનીતિક રીતે મહત્વના મારિયુપોલ શહેર પર છેલ્લા ત્રણ અઠવાડિયાથી સતત રશિયન ફોર્સના હુમલા ચાલુ છે. જેના પગલે સ્થાનિક રહીશોએ શહેર છોડીને જવા માટે મજબૂર થવું પડ્યું છે. સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે રશિયન ફોર્સથી ઘેરાયેલા મારિયુપોલમાં  ભોજન, પાણી અને વીજ પુરવઠો સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ચૂક્યો છે અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2300 લોકોએ યુદ્ધમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 

શાળાઓ ઉપર પણ થયો બોમ્બમારો
આ અગાઉ રશિયાની સેનાએ મારિયુપોલ શહેરમાં હુમલો કરતા એક શાળા ઉપર પણ બોમ્બમારો કર્યો હતો. આ શાળામાં હુમલાથી બચવા માટે 400 લોકો છૂપાયા હતા. હુમલા બાદ અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ હતી. મારિયુપોલના એક થિયેટર ઉપર પણ રશિયાની સેનાએ બોમ્બમારો કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ આ હુમલાને યુદ્ધ અપરાધ જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે એક શાંતિપૂર્ણ શહેર પર આક્રમણ કરનારાઓએ જે કર્યું તે એક એવો આતંક છે જેને આવનારી સદીઓ સુધી યાદ રાખવામાં આવશે. 

હજારોને જબરદસ્તીથી રશિયા મોકલ્યા
આ બાજુ મારિયુપોલ નગર પરિષદે દાવો કર્યો કે રશિયન સૈનિકોએ શહેરના હજારો નાગરિકોને જબરદસ્તીથી રશિયા મોકલી દીધા છે. જેમાંથી મોટાભાગના મહિલાઓ અને બાળકો છે. આ લોકોના દસ્તાવેજ પણ છીનવી લીધા છે. જ્યારે વૈશ્વિક સંસ્થા યુનિસેફે દાવો કર્યો છે કે યુદ્ધ વચ્ચે 15 લાખ યુક્રેની બાળકોને વેચવામાં આવી શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં કહેવાયું છે કે યુક્રેનના 18 શહેરોમાં અટકી અટકીને બોમ્બમારો થઈ રહ્યો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post