રશિયાએ એક મહિના સુધી ચાલેલા યુદ્ધમાં માત્ર બે વાર સત્તાવાર મૃત્યુઆંક જણાવ્યો છે
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 34મો દિવસ છે. હજી
સુધી રશિયા માટે યુક્રેનને નિયંત્રિત કરવું મુશ્કેલ રહ્યું છે. આ સમગ્ર યુદ્ધમાં
યુક્રેનની સાથે રશિયાને પણ ઘણું નુકસાન થયું છે. યુક્રેને દાવો કર્યો છે કે આ
લડાઈમાં અત્યાર સુધીમાં રશિયાના 7 મેજર જનરલ માર્યા ગયા છે. જો કે, રશિયાએ અત્યાર
સુધી માત્ર એક જનરલ અને અન્ય વરિષ્ઠ નેવલ કમાન્ડરના મૃત્યુની પુષ્ટિ કરી છે.
યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના
જણાવ્યા અનુસાર, પોતાનો જીવ ગુમાવનાર સાતમા રશિયન જનરલ લેફ્ટનન્ટ જનરલ યાકોવ રેઝાન્ટસેવ હતા, જે દક્ષિણ શહેર
ખેરસોનના ચોર્નોબાઈવકામાં લડાઈ દરમિયાન માર્યા ગયા હતા.
યુક્રેનના રાષ્ટ્રપતિ
ઝેલેન્સ્કીના સલાહકાર માયખાઈલો પોડોલિયાકીએ તેને રશિયન સૈન્યની નિષ્ફળતા ગણાવી
હતી. તેમણે કહ્યું કે રશિયાના સૈનિકો આ યુદ્ધ માટે તૈયાર ન હતા. સૈનિકોને આપવામાં
આવેલા આદેશોનું યોગ્ય રીતે પાલન નહોતું થઈ રહ્યું, જેના કારણે જનરલોને
યુદ્ધના મેદાનમાં ઉતરવું પડ્યું હશે.
રશિયાના સૈન્યએ માત્ર
મેજર જનરલ એન્ડ્રી સુખોવેત્સ્કીના મૃત્યુની પુષ્ટિ કરી છે. સુખોવેત્સ્કી 47 વર્ષના હતા અને લશ્કરી
એકેડેમીમાંથી પાસ થયા પછી પ્લાટૂન કમાન્ડર તરીકે સેનામાં સેવા આપવાનું શરૂ કર્યું.
હાલમાં તેઓ રશિયન સેન્ટ્રલ ફોર્સની 41મી બટાલિયનના ડેપ્યુટી
કમાન્ડર તરીકે તહેનાત હતા.
જેલમાં બંધ રશિયાના વિપક્ષના નેતા એલેક્સી નવલનીના નજીકના સાથી લિયોનીદ
વોલ્કોવે દાવો કર્યો હતો કે યુક્રેનમાં માર્યા ગયેલા બીજા જનરલ- મેજર જનરલ વિટાલી
ગેરાસિમોવનાં અંતિમ સંસ્કાર 16 માર્ચે યેકાતેરિનબર્ગમાં કરાયા હતા. તેમણે વધુમાં કહ્યું- રશિયાના મીડિયામાં આ
વિશે એક પણ શબ્દ લખવામાં આવ્યો નથી. અહેવાલો અનુસાર ગેરાસિમોવ બીજા ચેચન યુદ્ધ, સીરિયામાં રશિયન લશ્કરી
કાર્યવાહીમાં સામેલ હતા.
જ્યારે, મેજર જનરલ ઓલેગ
મિત્યેવની કથિત રીતે દક્ષિણ-પૂર્વ યુક્રેનના મેરિયુપોલ શહેરની નજીક માર્યા ગયા
હતા. તે રશિયાની આર્મીની 150મી મોટરાઈઝ્ડ રાઈફલ ડિવિઝનના કમાન્ડર હતા, જેની રચના 2016માં કરવામાં આવી
હતી. આ બટાલિયન યુક્રેનની સરહદની નજીકના રોસ્તોવ પ્રદેશમાં તહેનાત હતી.
રશિયાની સરકાર મૃત્યુ પામેલા સૈનિકોનો આંકડા જણાવી રહી નથી
રશિયાએ એક મહિના સુધી ચાલેલા યુદ્ધમાં માત્ર બે વાર
સત્તાવાર મૃત્યુઆંક જણાવ્યો છે. પ્રથમ નિવેદન 2જી માર્ચે આપવામાં આવ્યું ન હતું. રશિયાએ કહ્યું હતું કે 2 માર્ચ સુધીમાં તેના 500 સૈનિકો માર્યા ગયા. 25 માર્ચે આપવામાં આવેલા બીજા
નિવેદનમાં માત્ર 1,351 સૈનિકોના મૃત્યુની પુષ્ટિ કરાઈ હતી.
રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ 'ગુમ'
સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુ 11 માર્ચથી જાહેરમાં જોવા મળ્યા
નથી. આ પછી સમાચાર આવ્યા કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ઉગ્ર
દલીલબાજી બાદ તેમને હાર્ટએટેક આવ્યો હતો. પુતિને યુક્રેનમાં તેમની વિશેષ લશ્કરી
કામગીરીની "નિષ્ફળતા" માટે તેમને દોષી ઠેરવ્યા હતા, જેણે બંને નેતાઓ વચ્ચેના
અણબનાવને વધારી દીધા હતા.