ઉદય માહુરકરે આસારામ બાપુની લીલાઓને પણ ખુલ્લી પાડી હતી
વડાપ્રધાનના નેતૃત્વવાળા પેનલે ઈન્ફોર્મેશન કમિશનરના પદ
માટે વરિષ્ઠ ગુજરાતી પત્રકાર ઉદય માહુરકરના નામને મંજૂરી આપી દીધી છે. મૂળ મરાઠી
માનુસ ઉદય માહુરકર વર્ષો સુધી ગુજરાતી પત્રકારત્વમાં કાર્યરત રહ્યાં બાદ તેઓ
દિલ્હી સ્થિત ઈન્ડિયા ટુડે ગ્રુપમાં જોડાયા હતા. હાલ ઉદય માહુરકર ઈન્ડિયા ટુડે
ગ્રુપમાં ડેપ્યુટી એડિટર તરીકે કાર્યરત છે અને સંઘ પરિવારની નજીક છે. આ ઉપરાંત ઉદય
માહુરકરે વડાપ્રધાન મોદી ઉપર "માર્ચિંગ વીથ અ બિલિયન" અને "સેન્ટર
સ્ટેજઃ ઈનસાઇડ ધ નરેન્દ્ર મોદી" નામનું પુસ્તક પણ લખ્યા છે. મધ્યપ્રદેશના
ઈન્દોરમાં જન્મેલા ઉદય માહુરકરનો પરિવાર આઝાદી બાદ ગુજરાત આવીને વસ્યો હતો. ઉદય
માહુરકરે વડોદરામાં પોતાનું એજ્યુકેશન પૂર્ણ કર્યું છે. ઉદય માહુરકરે
એમ.એસ.યુનિવર્સિટીમાંથી વર્ષ 1983માં ઈન્ડિયન હિસ્ટ્રી કલ્ચર એન્ડ આર્કિઑલજિમાં ગ્રેજ્યુએશન
કર્યું હતું. જે બાદ તેઓ 1983માં જ
સબ એડિટર તરીકે ઈન્ડિયન એક્સપ્રેસમાં અમદાવાદ ખાતે જોડાયા હતા. ઉદય માહુરકરે
આસારામ બાપુની લીલાઓને પણ ખુલ્લી પાડી હતી.
વિદેશ સેવાના પૂર્વ અધિકારી યશવર્ધન કુમાર સિન્હા નવા
સીઆઈસી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સીઆઈસીના પદ માટે 154 અને પાંચ આઈસી માટે 355 ઉમેદવાર હતા. યશવર્ધન સિન્હા
પહેલેથી જ સુચના આયુક્ત તરીકે કાર્યરત હતા અને સૌથી વરિષ્ઠ પણ હતા. યશવર્ધન સિન્હા
સ્વર્ગીય જનરલ એસ.કે.સિન્હાના પુત્ર છે, જેઓ કેન્દ્રની અટલ બિહારી વાજપેયી
સરકારના સમયગાળામાં જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા. બિમલ ઝુલ્કા રિટાયર્ડ થયા પછી
ઘણાં મહિનાથી સીઆઈસીના અધ્યક્ષ પદની જગ્યા ખાલી હતી. આ જગ્યા ખાલી પડી હોવાને
કારણે આરટીઆઈના મામલાઓ વધી રહ્યાં હતા જેના કારણે સીઆઈસીની કાર્યપ્રણાલી પર પણ
તેની ગંભીર અસર પડી રહી હતી. મંત્રાલય અને વિભાગ પણ આરટીઆઈના આવેદનોના જવાબ
આપવાનું ટાળતા હતા.