ગત લોકસભાની ચૂંટણીમાં જોર લગાવવા છતાં ઊર્મિલા હારી ગઈ હતી
ગત લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ તાકાત સાથે ઉત્તર મુંબઈની
બેઠક પરથી ચૂંટણી લડીને ભાજપના ગોપાલ શેટ્ટી સામે અત્યંત ખરાબ રીતે હારી ગયેલી
અભિનેત્રી ઊર્મિલા માંતોડકર હવે મંગળવારે શિવસેનામાં જોડાશે એવી માહિતી આધારભૂત
સૂત્રોએ આપી હતી. શિવસેના હવે ઊર્મિલાને સક્રિય રાજકારણમાં ઉતારવા માટે સુસજ્જ છે.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં સોમવારે
ઊર્મિલા શિવસેનામાં પ્રવેશ કરશે.
વિધાન પરિષદમાં રાજ્યપાલ નિયુક્ત સભ્યો સંબંધી વિષય પર ચર્ચા
આવ્યા પછી ઊર્મિલાનું નામ ચર્ચામાં આવ્યું હતું. રાજ્યપાલ નિયુક્ત વિધાનસભ્યો માટે
શિવસેનાએ ઊર્મિલાના નામની ભલામણ કરી હોવાનું અને ઊર્મિલાએ પણ આ પ્રસ્તાવ
સ્વીકાર્યો હોવાનું કહેવાય છે.
રાજ્યમાં સત્તાધારી મહાવિકાસ આઘાડી સરકારે રાજ્યપાલ નિયુક્ત
વિધાનસભ્યોનાં પદ માટે 12 જણની
યાદી રાજ્યપાલ પાસે સુપરત કરી છે. તેમાં શિવસેનાએ ઊર્મિલા, નીતિન બાનગુડે-પાટીલ, વિજય કરંજકર અને ચંદ્રકાંત
રઘુવંશીને તક આપી છે. કોંગ્રેસે રજની પાટીલ, સચિન સાવંત, મુઝફ્ફર હુસૈન અને અનિરુદ્ધ વણકરને
તક આપી છે. રાષ્ટ્રવાદીએ એકનાથ ખડસે, રાજુ શેટ્ટી, આનંદ શિંદે અને યશપાલ ભિંગેને તક
આપી છે.