કેટલાક યુવાનો દ્વારા શંભુ બોર્ડર પર બેરિકેડ તોડવાનું શરૂ કરતા પોલીસ એક્શનમાં આવી
ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હી તરફ કૂચ કરી છે. હરિયાણા અને પંજાબ વચ્ચે શંભુ બોર્ડરથી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. આ દરમિયાન પોલીસે ખેડૂતોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને કેટલાક ખેડૂતોની પોલીસે અટકાયત પણ કરી છે.
ટ્રેક્ટર વડે સિમેન્ટના બેરિકેડ હટાવતા ખેડૂતો
હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. જો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ છે તો હરિયાણા પોલીસ તેમને રોકવા માટે ટીયર ગેસના શેલ છોડી રહી છે. દિલ્હીમાં ઘૂસવા પર અડગ રહેતા ખેડૂતો ટ્રેક્ટર વડે સિમેન્ટ બેરિકેડ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દિલ્હીમાં લાલ કિલ્લો બંધ
દિલ્હીમાં લાલ કિલ્લો પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોની 'દિલ્હી ચલો' કૂચને કારણે સુરક્ષા વ્યવસ્થામાં વધારાની વચ્ચે એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી.
ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હીની આસપાસની સરહદો સીલ કરી દેવામાં આવી છે. સિંઘુ બોર્ડર પરનો ફ્લાયઓવર પણ સીલ કરી દેવામાં આવ્યો છે. મશીનની મદદથી સિમેન્ટ બેરીકેટ્સ લગાવવામાં આવ્યા છે. અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આરએએફ તહેનાત કરવામાં આવી છે.
હેલ્પલાઈન નંબર જાહેર કરવામા આવ્યો
ખેડૂત આંદોલનના પગલે ગૌતમ બુદ્ધ નગર પોલીસે ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સાથે જોડતી તમામ સરહદો પર બેરિકેડ લગાવીને સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવશે. આ ઉપરાંત હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. દિલ્હીના અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પ્રતિબંધોને કારણે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદ સહિતના NCR શહેરોમાં લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.
ખેડૂતો આ માગણીઓ પર અડગ
•ખેડૂતોની સૌથી મહત્ત્વની માંગ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવાની છે.
•ખેડૂતો અને મજૂરો માટે સંપૂર્ણ લોન માફી યોજના લાગુ કરવી જોઈએ.
•દેશમાં જમીન સંપાદન અધિનિયમ 2013નો ફરીથી અમલ કરો, ખેડૂતોની લેખિત સંમતિ અને કલેક્ટર રેટ કરતાં ચાર ગણા વળતરની ખાતરી કરો.
•લખીમપુર ખીરી હિંસાના પીડિતો માટે ખેડૂતો ન્યાયની માગ કરી રહ્યા છે
•ભારતને વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માંથી બહાર લઈ જવું જોઈએ.
•કૃષિ ચીજવસ્તુઓ, દૂધની બનાવટો, ફળો, શાકભાજી અને માંસ પરની આયાત જકાત ઘટાડવા માટે ભથ્થું વધારવું જોઈએ.
•58 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન યોજના લાગુ કરીને દર મહિને રૂ. 10,000નું પેન્શન આપવું જોઈએ.
•પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સુધારો કરવા માટે સરકાર દ્વારા જ વીમા પ્રિમિયમની ચૂકવણી કરવી, તમામ પાકોને યોજનાનો ભાગ બનાવવો અને નુકસાનનું મૂલ્યાંકન કરતી વખતે ખેતરના એકરને એક એકમ તરીકે ધ્યાનમાં લઈને નુકસાનનું મૂલ્યાંકન કરવું.
•જમીન સંપાદન અધિનિયમ, 2013 એ જ રીતે અમલમાં મૂકવો જોઈએ અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને જમીન સંપાદન અંગે આપવામાં આવેલી સૂચનાઓ રદ કરવી જોઈએ.
•જંતુનાશકો, બિયારણ અને ખાતર કાયદામાં સુધારો કરીને કપાસ સહિતના તમામ પાકોના બિયારણની ગુણવત્તામાં સુધારો કરવો જોઈએ.
હરિયાણા જવા માટે 4 રૂટ
• ડાબર ચોક – મોહન નગર – ગાઝિયાબાદ – હાપુર રોડ – જીટી રોડ – દિલ્હી મેરઠ એક્સપ્રેસવે – ડાસના – ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે થઈને મુસાફરી કરી શકાય છે.
• લોની – પૂજા પાવી – પંચલોક – મંડોલા – મસૂરી – ખેકરા (29 કિમી) ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે દ્વારા ઈન્દ્રપુરી પહોંચી શકાય છે.
• દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસવેની સર્વિસ લેનમાંથી પંચલોક – મંડોલા-મસૂરી – પૂજા પાવીથી ઠેકડા ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પણ એક વિકલ્પ હોઈ શકે છે.
• દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસવે થઈને મંડોલા – મસૂરી – ખેકરા – ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે થઈને ટ્રોનિકા સિટીના માર્ગે જઈ શકાય છે.