સ્ટેડિયમમાં લગભગ 50 હજાર લોકો એન્ટ્રી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી.
મેડાગાસ્કરની રાજધાની
એન્ટાનાનારિવોના નેશનલ સ્ટેડિયમમાં ભાગદોડ મચી જવાથી 12 લોકોના મોત થયા છે અને 80 લોકો ઘાયલ થયા છે. આ
દુર્ઘટના ત્યારે થઈ જ્યારે લગભગ 50,000 લોકો ઈન્ડિયન ઓશન આઈલેન્ડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ માટે
સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ન્યૂઝ એજન્સી ANIએ અલ જઝીરાના રિપોર્ટને
ટાંકીને આ જાણકારી આપી છે.
મેડાગાસ્કરના વડાપ્રધાન
ક્રિશ્ચિયન નત્સેએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. નાસભાગમાં ઘાયલ થયેલા
લોકોમાંથી 11ની હાલત ગંભીર હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલ તેની સારવાર ચાલી રહી છે.
રાષ્ટ્રપતિએ જીવ
ગુમાવનારા લોકો માટે મૌન પાળ્યું
ઉદઘાટન સમારોહમાં હાજરી આપવા પહોંચેલા મેડાગાસ્કરના પ્રેસિડેન્ટ એન્ડ્રી
રાજોએલીનાએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા
તેમણે સ્ટેડિયમમાં હાજર લોકોને અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો માટે મૌન પાળવાની
અપીલ કરી હતી. આ પછી સ્ટેડિયમમાં યોજાતો કાર્યક્રમ ચાલુ રહ્યો.
અગાઉ વર્ષ 2019માં મેડાગાસ્કરના
સ્ટેડિયમમાં આવી જ ઘટનામાં લગભગ 15 લોકોના મોત થયા હતા.
ઇન્ડિયન ઓશન આઇલેન્ડ
ગેમ્સ એક ડિસિપ્લિનરી કોમ્પિટિશન છે, જે મેડાગાસ્કરમાં 3 સપ્ટેમ્બર સુધી યોજાશે.
ઈન્ડિયન ઓશન આઈલેન્ડ ગેમ્સની રચના ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા વર્ષ 1977માં કરવામાં આવી હતી.
તેમાં મોરેશિયસ, સેશેલ્સ, કોમોરોસ, મેડાગાસ્કર, મેયોટ, રિયુનિયન અને માલદીવના એથ્લેટ્સનો સમાવેશ થાય છે.
મધ્ય અમેરિકાના અલ સાલ્વાડોરમાં ફૂટબોલ મેચ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ
અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. પોલીસના
જણાવ્યા અનુસાર 90થી વધુ લોકો ઘાયલ છે જેમાંથી બેની હાલત ગંભીર છે. 500
લોકોને બચાવી લેવાયા છે. મીડિયા રિપોર્ટ્સમાં
કહેવામાં આવ્યું છે કે અલ સાલ્વાડોરમાં સ્થાનિક ટીમની મેચ હતી. તે દરમિયાન આ ઘટના
બની હતી.