શ્રમિકોના સ્થળાંતર મુદ્દે સુપ્રીમકોર્ટમાં 9મીએ ચુકાદો, તમામ શ્રમિકોને ઘરે પહોંચાડવા 15 દિવસની મહેતલ અપાય તેવા સંકેત
નવી દિલ્હી: લૉકડાઉન
દરમિયાન દેશભરમાં બદહાલ શ્રમિકોના સ્થળાંતર મુદ્દે સુપ્રીમકોર્ટે શુક્રવારે
સુનાવણી પૂરી કરી. કોર્ટ 9 જૂને ચુકાદો આપશે. કોર્ટે તમામ રાજ્યોને ઘરે પાછા ફરી રહેલા
શ્રમિકોની નોંધણી અને કાઉન્સેલિંગ કરી તેમને રોજગાર આપવાની વ્યવસ્થા કરવા આદેશ
કર્યો. કોર્ટે રાજ્યો પાસેથી આ વ્યવસ્થાની વિગતો પણ માગી છે. સાથે જ કોર્ટે સંકેત
આપ્યો કે રાજ્યોને તમામ શ્રમિકોને 15 દિવસમાં
તેમના વતન મોકલવા આદેશ અપાઇ શકે છે. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર
મહેતાએ જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની બેન્ચને જણાવ્યું કે 3 જૂન સુધીમાં 4,270 શ્રમિક
સ્પેશિયલ ટ્રેન દ્વારા 1 કરોડથી વધુ શ્રમિકોને તેમના વતનમાં મોકલાઇ ચૂક્યા છે. મોટા
ભાગની ટ્રેનો યુપી-બિહાર મોકલાઇ. રાજ્યોની માગ પ્રમાણે હજુ 171 ટ્રેન રવાના થવાની છે.
સરકારને તેમના રાજ્યોની જ ખબર નથીઃ જસ્ટિસ કૌલ
સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય
કિશન કૌલે કહ્યું કે રાજ્યો ઇચ્છે તો 15 દિવસમાં
તમામ પરપ્રાંતી શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડી શકાય છે. રાજ્યોએ પણ પોતાને ત્યાં
પરત ફરેલા શ્રમિકોની વિગતો આપી. પશ્ચિમ બંગાળ સરકારના જવાબ અંગે મહેતાએ કહ્યું કે
સરકાર માત્ર પોતાને ત્યાં ફસાયેલા બીજા રાજ્યોના લોકોની વાત કરી રહી છે. તેમને એ
નથી ખબર કે તેમના રાજ્યના કેટલા લોકો બીજા રાજ્યોમાં ફસાયેલા છે?
રાજ્યોની વિગતો: મહારાષ્ટ્રમાંથી 11 લાખ અને ગુજરાતમાંથી 20 લાખ શ્રમિક
વતન મોકલાયા
·
મહારાષ્ટ્ર: 11 લાખ શ્રમિકને તેમના વતનમાં મોકલાયા છે. હજુ 38 હજાર શ્રમિકને મોકલવાના બાકી છે.
·
રાજસ્થાન: શ્રમિકોને પાછા લાવવા તથા બીજા રાજ્યોના શ્રમિકોને પરત
મોકલવા પાછળ 7 કરોડ રૂ. ખર્ચ કરાયા છે.
·
ગુજરાત: 22 લાખ પરપ્રાંતી શ્રમિક ફસાયા હતા. તેમાંથી 20.5 લાખને વતનમાં મોકલાઇ ચૂક્યા છે.
પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોનાની સારવારના બેફામ ચાર્જ સામે
પણ સુપ્રીમની લાલ આંખ
·
પ્રાઇવેટ
હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ પાસેથી વસૂલાતા બેફામ ચાર્જના વિરોધમાં દાખલ થયેલી
અરજી મામલે સુપ્રીમકોર્ટ સુનાવણી કરશે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી એક
અઠવાડિયામાં જવાબ માગ્યો છે.
·
રાહતદરે
જમીન મેળવનારી પ્રાઇવેટ હોસ્પિટલોને આયુષ્માન યોજનાના દરે સારવાર માટે આદેશ આપી
શકાય કે નહીં તે મુદ્દે સુપ્રીમકોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો.
ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેના વડપણ હેઠળની બેન્ચે કહ્યું કે કોરોનાના અમુક દર્દીઓની
સારવાર વિનામૂલ્યે કેમ ન થઇ શકે?