રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ, દેવાંશને અગાઉથી જ હૃદયની બીમારી હોઈ શકે છે
રાજકોટ નજીક રીબડામાં
સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે ગુરુપૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો
હતો. ત્યારે ગુરુકુળમાં ધો. 10માં અભ્યાસ કરતા ધોરાજીના મૂળ દેવાંશ ભાયાણી સ્ટેજ પર
માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં અચાનક દુખાવો ઊઉપડતા ઢળી પડ્યો
હતો, આથી ગુરુકુળના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. દેવાંશને
તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ સારવાર મળે એ
પહેલાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. દેવાંશનું હાર્ટ-એટેકથી મોત થયાનું
તબીબોએ જણાવ્યું છે. એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા
મળી હતી.
દેવાંશ બે મિત્રો સાથે
કાર્યક્રમની તૈયારી કરતો
આજે ગુરુપૂર્ણિમા અંગે ગુરુકુળમાં કાર્યક્રમ હતો, આથી દેવાંશ અન્ય બે
મિત્રો સાથે મળી પોડિયમ ઉપાડી બાજુ પર મૂકી કાર્યક્રમની તૈયારી કરતો હતો. ત્યારે
અચાનક તે પડી જતાં તે બેભાન થઈ ગયો હતો. તેને હોસ્પિટલમાં ખસેડવા દરમિયાન સારવાર
મળે એ પહેલા જ પરિવારના કુલદીપક સમાન એકના એક પુત્રનું મોત નીપજ્યું
હતું.
સામાન્ય યુવાન કરતાં દેવાંશના હૃદયનું વજન બેગણું
રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ, દેવાંશને અગાઉથી જ હૃદયની
બીમારી હોઈ શકે છે. પ્રાથમિક રીતે જોતાં સામાન્ય યુવાનના હૃદય કરતાં બમણું વજન
દેવાંશના હૃદયનું જોવા મળ્યું છે. બીમારી અગાઉથી પણ હોઈ શકે છે, પરંતુ આજે અચાનક આવેલા મોતનું
કારણ શું છે એ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે,
જેનો રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સચોટ કારણ સામે
આવી શકે એમ છે.
દેવાંશ સ્ટેજ પર મિત્રો સાથે પોડિયમ લગાવતો હતો
દેવાંશ વીંટુભાઈ ભાયાણી આજે સવારના 8.30 વાગ્યા આસપાસ તેમના સાથી
વિદ્યાર્થી મિત્રો સાથે મળી ગુરુપૂર્ણિમા કાર્યક્રમની તૈયારી કરી રહ્યો હતો. એ
દરમિયાન તે 3 મિત્ર સાથે મળી સ્ટેજ પર
પોડિયમ લગાવી રહ્યો હતો અને અચાનક તેને છાતીમાં દુખાવો ઊપડતાં તે બેભાન થઈ ઢળી
પડ્યો હતો. તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેની સારવાર કારગત નીવડે
એ પહેલાં જ તેણે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. બાદમાં બનાવ અંગે
જાણ થતાં પોલીસે દેવાંશના મૃતદેહને પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી
વધુ તપાસ હાથ ધરી છે.