દવા આપતા પહેલા દર્દીની સંમતિ પણ અનિવાર્ય રહેશે
નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસના
સંક્રમો ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. સોમવારે 24 કલાકમાં જ 138ના મૃત્યુ થઈ ગયા, જેથી કુલ મૃતકાંક 4,078 સુધી પહોંચી ગયો. આ
દરમિયાન સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ની એક્સપર્ટ
કમિટીએ કોરોનાની દવા ગણાતી રેમડેસિવિરને ક્લિનિકલ ટ્રાયલ વિના જ દર્દીઓને આપવાનું
સૂચન કર્યું છે. જોકે, દવા બનાવવાની
મંજૂરી આપનારી સંસ્થા સીડીએસસીઓએ હજુ અંતિમ નિર્ણય નથી લીધો. આ સંસ્થાએ કંપનીઓ
સમક્ષ કેટલીક શરતો રજૂ કરી છે, જેના પાલન પછી જ દવા બનાવવાની અને વેચવાની મંજૂરી અપાઈ શકે છે.
હોસ્પિટલમાં ભરતી દર્દીઓને જ આ દવા અપાશે
દવા બનાવતી અમેરિકન કંપની ગિલિયાડ સાયન્સીસે ભારતીય દવા કંપનીઓ
સાથે કરાર કર્યો છે. તે હેઠળ સિપ્લા અને હિટેરોએ દવા બનાવવાની અને વેચવાની મંજૂરી
માંગી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, આ દવા આપતા પહેલા દર્દીની સંમતિ પણ અનિવાર્ય રહેશે. એટલું જ નહીં, તે હોસ્પિટલમાં ભરતી દર્દીઓને
જ અપાશે. આ સાથે તે દવાનો જુદા જુદા દર્દી પર શું પ્રભાવ પડ્યો તેનો પણ અભ્યાસ
કરાશે. જો બધું યોગ્ય રહ્યું તો જૂનના અંત સુધી આ દવા બજારમાં આવી શકે છે.