ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારત મુલાકાતે આવી રહ્યા છે, તે પહેલાં PEWએ આ સર્વે રિપોર્ટ જાહેર કર્યો છે
વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા ભારતમાં વધી રહી છે. પરંતુ તેમની અમુક નીતિ અને વેપાર વિશેનું વલણ ભારતીયોને પસંદ નથી. આ વાત PEW રિસર્ચ સર્વેમાં જણાવવામાં આવી છે. ટ્રમ્પની 24-25 ફેબ્રુઆરીની ભારત મુલાકાત પહેલાં આ સર્વે જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ સૌથી પહેલાં અમદાવાદ પછી આગ્રા અને પછી દિલ્હી જવાના છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ભારતમાં ગયા વર્ષે 24 જૂનથી 2 ઓક્ટોબર સુધીમાં ગ્લોબલ એટિટ્યૂડ સર્વેમાં 2,476 લોકોના સૂચન લેવામાં આવ્યા છે. તેના આધારે PEWના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, મોટા ભાગના ભારતીયોનું માનવું છે કે, જ્યારે વૈશ્વિક મુદ્દાઓની વાત આવે છે ત્યારે ટ્રમ્પ યોગ્ય પગલા લે છે. તેમને ભારતીયોની સકારાત્મક પ્રતિક્રિયાઓ મળે છે. પરંતુ અમુક ખાસ નીતિ અને વેપાર સાથે જોડાયેલા દ્રષ્ટીકોણને તેટલો જ નાપસંદ કરવામાં આવે છે.
ટ્રમ્પ-મેલેનિયા 2 દિવસમાં 3 શહેરની
મુલાકાત લેશે
· રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા 24 ફેબ્રુઆરીએ સવારે 11.55 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અહીં વડાપ્રધાન મોદી તેમનું સ્વાગત કરશે. રોડ શોના રૂટ પ્રમાણે ટ્રમ્પ અને મોદી એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ પહોંચશે. અહીં ટ્રમ્પના સ્વાગતથી લઈને સુરક્ષા સુધીની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અંદાજે 25 હજાર જવાન સુરક્ષામાં તહેનાત છે. તેઓ અંદાજે અઢી કલાક અમદાવાદમાં રોકાશે.
·
24 ફેબ્રુઆરીએ જ ટ્રમ્પ અને મેલેનિયા આગ્રામાં તાજમહેલ જોવા
જશે. 25 ફેબ્રુઆરીએ બંને દિલ્હીમાં રહેશે. રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું
ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. બંને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ જશે.
મેલેનિયા દિલ્હીમાં એક સરકારી સ્કૂલમાં હેપીનેસ ક્લાસના બાળકોને મળશે. દ્વીપક્ષીય
વાર્તા અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત પછી ટ્રમ્પ મંગળવારે રાતે જ
વોશિંગ્ટન જવા રવાના થશે.