રામ મંદિર નિર્માણનું મોટાભાગનું કાર્ય પૂર્ણ, પ્રથમ માળે થોડું કામ બાકી : બાંધકામ સમિતિના અધ્યક્ષ
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા યોજાવાની છે, જેનો દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એકતરફ પ્રાણપ્રતિષ્ઠા પહેલાની ધાર્મિક વિધિ સોમવારથી શરૂ થઈ ગઈ છે, તો બીજીતરફ બાંધકામની કામગીરી પણ ઝડપભેર થઈ રહી છે. બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા (Nripendra Mishra)એ રામ મંદિરનું બાંધકામ કેટલું પૂર્ણ થયું, તે અંગેની માહિતી આપી છે, જ્યારે લક્ષ્મણ સેવાના અધ્યક્ષ રામાજી ગુપ્તાએ પણ ભગવાન રામલલાની મૂર્તિને મંદિર પરિસરમાં લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
‘આવતીકાલે ગર્ભગૃહમાં રામલલાની સ્થાપના કરાશે’
નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, ‘રામ મંદિર નિર્માણનું કામ પૂર્ણ થઈ ગયું છે. રામલલાના મંદિરમાં ગર્ભગૃહ બનાવાયું છે. અહીં પાંચ મંડપ પણ હશે. ગ્રાઉન્ડ ફ્લોર પર મંદિર હશે. મંદિર બનીને તૈયાર થઈ ગયું છે, જોકે મંદિરના પ્રથમ માળે થોડું કામ બાકી છે. અહીં રામ દરબાર યોજાશે. મંદિરનો બીજો માળ અનુષ્ઠાન માટે બનાવાયો છે. અહીં જુદા જુદા યજ્ઞ અને ધાર્મિક વિધિ થશે. 22 જાન્યુઆરીએ લગભગ 12.30 કલાકે મુહૂર્ત છે, તે પેહલા પૂજા-વિધિ શરૂ કરી દેવાશે અને લગભગ આવતીકાલે ગર્ભગૃહમાં રામલલાની સ્થાપના કરાશે.
રામલલાની મૂર્તિ તૈયાર, મોડી રાત્રે મંદિર પરિસરમાં લઈ જવાશે
લક્ષ્મણ સેવાના અધ્યક્ષ રામાજી ગુપ્તાએ કહ્યું કે, ‘યોગીરાજ દ્વારા બનાવાયેલી રામલલાની મૂર્તિને ટ્રકમાં રખાઈ છે. મૂર્તિનું વજન હોવાથી ક્રેનથી ટ્રકમાં મુકાઈ છે. મૂર્તિનું વજન હોવાથી તેમજ મોટી હોવાથી તેને ભીડભાડ નહીં હોય ત્યારે ટ્રકમાંથી ઉતારવામાં આવશે.’ મોડી રાત્રે મૂર્તિને ટ્રકમાંથી ઉતારવામાં આવી શકે છે. મૂર્તિનું ભ્રમણ કરાવ્યા બાદ તેનો મંદિર પરિસરમાં પ્રવેશ કરાવાશે. રામજી ગુપ્તાએ રામ મંદિર આંદોલનમાં વિશેષ ભૂમિકા નિભાવી હતી અને તેઓ વિશ્વ હિન્દુ પરિષદ સાથે પણ જોડાયેલા રહ્યા છે.
‘ગર્ભ ગૃહ’માં પૂજા અર્ચના કરાઈ
અયોધ્યામાં રામલલાના પ્રાણપ્રતિષ્ઠા પહેલા સોમવારથી ધાર્મિક વિધિ શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે ‘ગર્ભ ગૃહ’માં પૂજા અર્ચના કરાઈ હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અને નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસ અને પૂજારી સુનીલ દાસે આજે અયોધ્યા રામ મંદિરના ‘ગર્ભ ગૃહ’માં પૂજા અર્ચના કરી હતી.