ડામર રસ્તા ઉપર જાણે કાળું પાણી નાખ્યું હોય તે રીતે ઓગળી ગયો હતો.
સુરત: સુરતના અડાજણ વિસ્તારમાં આશ્ચર્યજનક દૃશ્યો સામે આવ્યાં છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા જે રોડ ખખડધજ થઈ ગયા હતા. ત્યાં રિપેરિંગની કામગીરી
કરવામાં આવી રહી હતી. રસ્તો રિપેરિંગ કરવાના કલાકો બાદ જ ફરીથી યથાવત્ સ્થિતિમાં
જોવા મળતા મનપાની કામગીરી ઉપર પ્રશ્ન સર્જાઇ રહ્યા છે.
રસ્તા પર ડામર પીગળી
ગયો
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ભ્રષ્ટાચારની માનસિકતા સામે આવી છે. નેતાઓ અને
કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે ઘણી વખત લોકોના પૈસા વ્યર્થ જાય છે. કરોડો
રૂપિયાના ટેન્ડર આપીને શહેરના રસ્તા બનાવવા અને રિપેરિંગ કામ કરાવવામાં આવતું હોય
છે. છતાં પણ ચોમાસા દરમિયાન આપણે જોતા હોઈએ છીએ કે પહેલા બીજા વરસાદમાં જ
રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે. હાલ અડાજણ વિસ્તારની અંદર ગઈકાલે જે રસ્તા
બનાવવામાં આવ્યા હતા તે રસ્તા ઉપર પાથરેલો ડામર પીગળી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી
પડી હતી અને કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી શંકા વર્તાઈ રહી છે.
વાહનચાલકોને હાલાકી
ચોમાસામાં પહેલા બીજા વરસાદમાં જ રસ્તા ઉપર ખાડા તો
પડી જાય છે પરંતુ હવે ઉનાળામાં પણ જાણે વાહનચાલકોને મુશ્કેલી થશે. જિલ્લાના
બ્રિજની નીચે 200 મીટર સુધીના રસ્તા માટે
રિપેરિંગનું કામ કરવામાં આવ્યું હતું. જેના ઉપર ગઈકાલે જ ડામર પાથરવામાં આવ્યો
હતો. એ ડામર આજે પીગળવાનો શરૂ થઈ જતા વાહનચાલકોને પણ મુશ્કેલી સર્જાઇ હતી. ડામર
રસ્તા ઉપર જાણે કાળું પાણી નાખ્યું હોય તે રીતે ઓગળી ગયો હતો.
પાલિકાના રાંદેર ઝોનનો લૂલો બચાવ
પાલિકાનું રાંદેર ઝોન લોકોના આક્ષેપો ખોટા ગણીને કહે
છે, ચોમાસામાં જે વિસ્તારમાં રોડ
તૂટતા હતા. તેમાં વધારાના લેયરની કામગીરી ચાલે છે. કાલે રાત્રે ડામરનું લેયર
બનાવવામાં આવ્યું હતું. ડામર રોડમાં પેચ પછી અન્ય મટિરિયલ્સ નાંખવાનું હોય છે, તે મટિરિયલ્સ નાખવાની કામગીરી
બપોરે કરવાની હતી. જોકે, તે દરમિયાન 40 ડિગ્રી ગરમી હોવાના કારણે રોડની અંદર ડામર પોપડા સાથે રોડની બહાર જોવા મળ્યો
છે. હાલમાં આ રોડ પર મટિરિયલ્સ નાખવાની કામગીરી ચાલી રહી છે. હાલ રોડ પર જે રીતે
લેયર બનાવવામાં આવ્યું છે.
ભ્રષ્ટાચાર કે વેઠ ઉતારવાની વાત ખોટી- પરેશ પટેલ
સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ પણ સ્થળ પર આવી ગયા
હતા. પરેશ પટેલે જણાવ્યું હતું કે, ગત ચોમાસા દરમિયાન જે રોડ વધુ તૂટ્યા હતા તેની યાદી બનાવવામાં આવી હતી. તેમાં
આ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચોમાસા પહેલાં વધુ તૂટતા રોડ પર એક લેયર
બનાવવાની સૂચના આપી હતી તે કામગીરી ચાલી રહી હતી. ડામર રોડની અંદર સુધી જાય ત્યાર
બાદ જ મટિરિયલ્સ નાંખવાનું હોય છે, તે પહેલાં ગરમીના કારણે થોડો ડામર પીગળીને રોડની અંદર ગયો, તેવી રીતે થોડો ડામર બહાર
આવ્યો છે. બાકી રોડની કામગીરીમાં કોઈ ભ્રષ્ટાચાર થયો હોય કે વેઠ ઉતારવામાં આવી હોય
તે વાત ખોટી છે. હાલ મટિરિયલ્સ નાખવાની કામગીરી ચાલી રહી છે, ત્યાર બાદ આ રોડની ગુણવત્તામાં
વધારો થશે.