ફ્લાઈંગ સ્કવોડ તમિલનાડુના નીલગિરિ પહોંચી, તપાસ બાદ રાહુલ કેરળ જવા રવાના થયા
તિરુવનંતપુરમ: ચૂંટણીપંચના અધિકારીઓએ
સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું નિરીક્ષણ કર્યું હતું.
તમિલનાડુના નીલગિરિમાં ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી
હતી. આ તપાસ અંગે હજુ વધુ વિગતો બહાર આવી નથી. રાહુલ અહીં નીલગિરિ કોલેજમાં આર્ટ્સ
અને સાયન્સના વિદ્યાર્થીઓ અને ચાના બગીચાના કામદારોને મળ્યા હતા. તમિલનાડુ બાદ રાહુલ
ગાંધી કેરળના વાયનાડ પહોંચ્યા. અહીં તેમણે રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન તેમણે
કહ્યું કે વાયનાડના લોકો દરેક વખતે મને જે પ્રેમ અને લાગણી આપે છે તેના માટે હું
તેમનો આભારી છું. વાયનાડનો દરેક વ્યક્તિ મારો પરિવાર છે. રાહુલે કહ્યું કે
કેટલીકવાર પરિવારમાં ભાઈ-બહેનો ઘણી બાબતોમાં અલગ-અલગ મંતવ્યો ધરાવતાં હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી
કે તેઓ એકબીજાને પ્રેમ, સન્માન કે કાળજી લેતા નથી. રાજકારણમાં પ્રથમ પગથિયું છે એકબીજાને માન આપવું.
રાહુલ ગાંધીએ વાયનાડમાં શું કહ્યું:
1. રાહુલે કહ્યું કે
કેટલીકવાર પરિવારમાં ભાઈઓ અને બહેનો વચ્ચે ઘણી બાબતોમાં અભિપ્રાય અલગ હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી
કે તેઓ એકબીજા માટે પ્રેમ, સન્માન અથવા કાળજી લેતા નથી. રાજકારણમાં પ્રથમ પગથિયું છે એકબીજાને માન આપવું.
2. ભાજપ અને પીએમ કહે છે
કે એક દેશ, એક ભાષા, એક નેતા હોવો જોઈએ. તેઓ આપણા દેશને બિલકુલ સમજી શકતા નથી. ભાષા એવી વસ્તુ નથી
જેને તમે ઉપરથી લાદી શકો. આ દરેક વ્યક્તિના હૃદયમાંથી આવે છે. તે તમને તમારી
સભ્યતા સાથે જોડે છે. આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને ધર્મનું
પણ એવું જ છે. ભારત એક ગુલદસ્તા જેવું છે અને ગુલદસ્તાના દરેક ફૂલનું સન્માન કરવું
જોઈએ કારણ કે તે ગુલદસ્તાની સુંદરતામાં વધારો કરે છે.
3. ભારતમાં એક જ નેતા હોવો
જોઈએ એ વિચાર દેશના યુવાનોનું અપમાન છે. શા માટે ફક્ત એક જ નેતા હોય? ભાજપ અને અમારી વચ્ચે આ
જ સૌથી મોટો તફાવત છે. અમે લોકોના દિલમાં શું છે તે જાણવા માગીએ છીએ, અમે લોકોની માન્યતાઓ, સંસ્કૃતિ, ભાષા અને ધર્મનું
સન્માન કરીએ છીએ, જ્યારે તે લોકો પોતાના વિચારો દરેક પર થોપવા માગે છે. આપણે અંગ્રેજો પાસેથી
આઝાદી એટલા માટે નથી મેળવી કે આપણે આરએસએસની વિચારધારાના ગુલામ બની જઈએ.
4. વાયનાડના લોકો માટે
મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ મોટી સમસ્યા બની ગયો છે. રાત્રીના સમયે
વાહનવ્યવહાર પર લાદવામાં આવેલા પ્રતિબંધના કારણે લોકો પણ ભારે પરેશાન છે. અમે આ
સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરીશું. અમે આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને અનેક
પત્રો લખ્યા છે. અમે ભવિષ્યમાં પણ તેમના પર દબાણ ચાલુ રાખીશું.