સત્તા પલટા બાદ ત્યાં સેનાએ 1 વર્ષ માટે ઈમર્જન્સીની જાહેરાત કરી છે
ભારતના પડોશી દેશ મ્યાનમારમાં સેનાએ રવિવારે અડધી રાત્રે 2 વાગે સત્તા પલટો કરી દીધો છે.
ત્યાંના લોકપ્રિય નેતા અને સ્ટેટ કાઉન્સિલ આંગ સાન સૂ તથા રાષ્ટ્રપતિ વિન મિંટ
સહિત અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. મ્યાનમારમાં છેલ્લા ત્રણ દિવસથી સેના
મોટી મૂવમેન્ટ ચલાવી રહી હતી, આ અગાઉથી જ આ અંગે આશંકા હતી , જોકે પ્રશ્ન એ છે કે છેવટે એવી તો
કઈ પરિસ્થિતિ સર્જાઈ કે જેથી સેનાએ સત્તા પલટો કહ્યો? શું તેની ભારત પર કોઈ અસર થશે? ચાલો જાણીએ આ અંગે....
સૌથી પહેલા વાત, મ્યાનમારમાં શું થઈ રહ્યું છે?
મ્યાનમારમાં
છેલ્લા ત્રણ દિવસથી સેના મોટા એક્શનમાં હતી. ત્યાં રાજધાની નેપિતા સહિત મોટા
શહેરોમાં ઈન્ટરનેટ સેવા બંધ છે અને કેટલાક સ્થળો પર ફોન સર્વિસ પણ બંધ કરવામાં આવી
છે. સરકારી ચેનલ MRTVનું
ટેલિકાસ્ટ બંધ થઈ ગયુ છે અને આ માટે ટેકનિકલ ખામી જવાબદાર હોવાનું કહ્યું છે.
મ્યાનમારની જૂની રાજધાની યાંગૂનમાં પણ ઈન્ટરનેટ અને ફોન બંધ
છે. સવારે લોકોને માલુમ થયું કે મધ્ય રાત્રીથી સત્તા પરિવર્તન થયું છે.આ સંજોગોમાં
લોકોએ બજારોમાં જઈને મોટાપાયે ખરીદી શરૂ કરી હતી.
આંગ સાન સૂના પક્ષ નેશનલ લીગ ફોર ડેમોક્રેસીના પ્રવક્તાએ
ન્યૂઝ એજન્સીને સૂ તથા રાષ્ટ્રપતિ વિન મિન્ટ સહિત અનેક નેતાઓની ધરપકડ અંગે જાણકારી
આપી છે.
પણ એવું તે શું થયું?
હકીકતમાં
ગયા નવેમ્બર મહિનામાં મ્યાનમારમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. તેમા આંગ સાન સૂના
પક્ષે બન્ને ગૃહોમાં 396 બેઠક
મેળવી હતી. તેમના પક્ષે લોઅર હાઉસની 330 માંથી 258 અને અપર હાઉસમાં 168માંથી 138 બેઠક મેળવી હતી.
મ્યાનમારના મુખ્ય વિપક્ષ યુનિયન સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટ
પાર્ટીએ બન્ને ગૃહમાં ફક્ત 33 બેઠક મેળવી હતી. આ પક્ષને સેનાનું સમર્થન હાંસલ હતું. આ
પાર્ટીના નેતા થાન હિતે છે, જે
સેનામાં બ્રિગેડિયર જનરલ રહી ચુક્યા છે.
પરિણામ આવ્યા બાદ ત્યાની સેનાએ એ વાત પર પ્રશ્ન ઉભો કર્યો
હતો. સેનાએ ચૂંટણીમાં સૂની પાર્ટી પર ગેરરીતિ આચરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે
સેનાએ સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિ અને ચૂંટણી પંચની ફરિયાદ કરી છે.
ચૂંટણી પરિણામો બાદથી જ લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી આ સરકાર
અને ત્યાની સેના વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા હતા. હવે મ્યાનમારની સત્તા સંપૂર્ણપણે
સેનાના હાથમાં છે. સત્તા પલટા બાદ ત્યાં સેનાએ 1 વર્ષ માટે ઈમર્જન્સીની જાહેરાત કરી
છે.
શું ભારત પર પણ તેની કોઈ અસર થશે?
આ
અંગે વિદેશ બાબતોના જાણકાર રહીસ સિંહ કહે છે કે મ્યાનમારના ઘટનાક્રમની અત્યારે
ભારત પર કોઈ અસર નહીં પડે. તેની પાછળ ત્રણ કારણ છે.
પ્રથમ કે સંબંધ દેશ સાથે નક્કી થાય છે, ત્યાંના શાસક સાથે નહીં બીજું, મ્યાનમાર સાથે આપણા સંબંધ ત્યારથી
સારા થવાનું શરૂ થયું હતું કે જ્યારથી ત્યાં માર્શલ લો એટલે કે સેનાનું શાસન હતું.
ત્રીજુ કે મ્યાનમારને ભારતની જરૂર છે, માટે તે પોતે ભારતથી અલગ થવા અથવા
સંબંધ બગાડવાનું ઈચ્છશે નહીં. મ્યાનમારમાં સત્તા પલટા બાદ ભારતે ચિંતા વ્યક્ત કરી
છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું છે કે ''અમે મ્યાનમારમાં થયેલ ઘટનાક્રમ
અંગે જાણકારી મેળવી છે. ભારત મ્યાનમારમાં હંમેશા લોકતંત્ર તરીકે સત્તા હસ્તાંતરણના
પક્ષમાં રહ્યું છે. અમારું માનવું છે કે કાયદાનું શાસન અને લોકતાંત્રિક પ્રક્રિયા
યથાવત રહેવી જોઈએ. અમે સંપૂર્ણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
રહીસ સિંહે કહ્યું કે ભારત એક લોકશાહી દેશ છે, માટે મ્યાનમારમાં જ્યારે સેનાનું
શાસન છે ત્યારે આપણે જાતે મિત્રતાની પહેલ ન કરો. જોકે, ત્યાં સેનાનું શાસન લાગવાથી ચીન
મ્યાનમાર સાથે સંબંધો વધારી શકે છે, જે આપણા માટે ચિંતાજનક હશે.