વિવાદાસ્પદ નકશો સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો
વિકિપીડિયાએ જૂનાગઢને પાકિસ્તાનનો વિવાદાસ્પદ વિસ્તાર
દર્શાવતો નકશો જારી કર્યો છે. એમાં કાશ્મીરને પણ પાક.નો વિવાદાસ્પદ વિસ્તાર
દેખાડ્યો છે. સોશિયલ મીડિયા પર આ નકશો ટ્રોલ થયો હતો, જેમાં એનો વિરોધ વ્યક્ત
કરતી વિવિધ કોમેન્ટો થઇ હતી.
જૂનાગઢના નવાબની
તાજપોશી પણ કરી હતી
તો આ નકશાને એક પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝરે પણ ટેગ કર્યો હતો, જેમાં ઇસ્લામાબાદમાં
જૂનાગઢનાં બેનરો લાગ્યાં હોવાના ફોટાને શેર કરાયો હતો. આ નકશા પર તીખી પ્રતિક્રિયા
વ્યક્ત કરાઇ હતી. અગાઉ જૂનાગઢને પાક.નો હિસ્સો ગણાવતા નકશા પાકિસ્તાને પ્રસિદ્ધ
કર્યા હતા અને જૂનાગઢના નવાબના પાકિસ્તાનમાં રહેતા વંશજની ફરી તાજપોશી પણ કરાઇ
હતી.
એક વર્ષ પહેલાં ઇમરાન
ખાને નકશો જાહેર કર્યો હતો
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે એક બેઠક દરમિયાન દેશનો નક્શો જાહેર
કરી દીધો છે. એમાં લદાખ, જમ્મુ-કાશ્મીરના સિયાચીન સહિત ગુજરાતના જૂનાગઢ પર પણ દાવો ઠોક્યો છે.
પાકિસ્તાને આ પગલું એવા સમયે ભર્યુ છે, 5મીએ જમ્મુ-કાશ્મીરમાંથી
ભારત સરકાર દ્વારા કલમ 370 હટાવવાને એક વર્ષ પૂરું થવાનું હતું ત્યારે ટ્વિટર પર નકશો મૂક્યો હતો.
પૂર્વ નવાબના વંશજે
પુત્રને જૂનાગઢનો પ્રધાનમંત્રી બનાવ્યો
પાકિસ્તાને ફરી જૂનાગઢને લઇને ઉંબાડિયું કર્યું છે. કરાચીમાં રહેતા જૂનાગઢના
પૂર્વ નવાબ મહોબતખાન ત્રીજાના વંશજ મોહંમદ જહાંગીરખાને પોતાના પુત્ર સાહબજાદા
સુલતાન અહેમદને જાતે જ વઝીર-એ-આઝમ એટલે કે પ્રધાનમંત્રી બનાવ્યો છે. ત્યાર બાદ
સુલતાન અહેમદે જૂનાગઢને પાકિસ્તાનનું ગણાવ્યું હતું.
પાકિસ્તાનમાં જૂનાગઢના
મૂળ વતની હોય એવા 25 લાખ લોકો રહેતા હોવાનો દાવો
બાદમાં સાહબજાદા સુલતાન અહેમદે પોતાના ભાષણમાં જૂનાગઢ પાકિસ્તાનનું હોવાનું
જણાવ્યું હતું. સાહબજાદા સુલતાન અહેમદે બાદમાં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે જૂનાગઢનો
કેસ કાનૂની અને રાજકીય હોવાનું તેમજ જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો હોવા અંગે
દુનિયાનું ધ્યાન ખેંચવા માગતા હોવાનું પણ જણાવ્યું હતું. વિડિયોમાં હાલ
પાકિસ્તાનમાં જૂનાગઢના મૂળ વતની હોય એવા 25 લાખ લોકો રહેતા હોવાનો
દાવો પણ તેમણે કર્યો છે, સાથે એમ પણ જણાવ્યું છે કે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના પિતા સર શાહનવાઝખાન ભુટ્ટો
બાદ હવે પોતે જૂનાગઢના દીવાન તરીકેની બાગડોર સંભાળી છે અને હવે પોતે જૂનાગઢના
પ્રશ્ન તરફ દુનિયાનું ધ્યાન ખેંચશે. જૂનાગઢ એ કોઇ અલગાવવાદી ચળવળ નથી, પણ એના પર લશ્કરી બળથી
કબજો મેળવી લેવાયો છે, એવું નિવેદન પણ તેમણે આપ્યું હતું.