વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે પરીક્ષા ગમે તે ભોગે યોજાય: શિક્ષણ મંત્રાલય
કોરોનાકાળમાં
JEE મેઈન્સ-2020 અને NEETના આયોજન અંગે સરકાર અને
વિપક્ષ સામ-સામે છે. આ દરમિયાન એ નક્કી થઈ ગયું છે કે આ પ્રવેશ પરીક્ષાઓ ટાળવામાં
નહીં આવે. એક અંગ્રેજી વેબસાઇટે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે શિક્ષણ સચિવે
સ્પષ્ટતા કરી દીધી છે કે NEET
અને
JEE નક્કી તારીખો પર યોજાશે.
બંને પરીક્ષાઓને સ્થગિત કરવા અંગે પુન:વિચાર નહીં થાય. શિક્ષણ સચિવે આ વાત
શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલના વીડિયો નિવેદનથી એક કલાક પૂર્વે કહી હતી. તે પછી
શિક્ષણમંત્રી પોખરિયાલે વીડિયો મેસેજમાં કહ્યું કે અત્યાર સુધી JEEના 8.58 લાખ વિદ્યાર્થીઓમાંથી 7.5 લાખ અને NEETના 15.97 લાખમાંથી 10 લાખ વિદ્યાર્થીઓએ એડમિટ
કાર્ડ ડાઉનલોડ કર્યા છે. જે દર્શાવે છે કે વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે પરીક્ષાનું
આયોજન ગમે તે ભોગે કરવામાં આવે.
શિક્ષણવિદોએ કહ્યું-
પરીક્ષા ટાળવી એ છાત્રોના ભવિષ્ય સાથે ચેડાં સમાન
પરીક્ષાના
સમર્થનમાં દિલ્હી યુનિવર્સિટી, જેએનયુ, કેલિફોર્નિયા યુનિવર્સિટી સહિત દેશ-વિદેશની
યુનિવર્સિટીઓના 100થી વધુ શિક્ષણવિદોએ પીએમ
મોદીને પત્ર લખ્યો હતો. તેમાં કહ્યું કે આ પરીક્ષાઓમાં વધુ વિલંબ કરાશે તો તે
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સમાધાન કરી લેવાયેલું ગણાશે. કેટલાક લોકો તેમના રાજકીય
એજન્ડાના ચક્કરમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે. અમને આશા અને
સંપૂર્ણ વિશ્વાસ છે કે પરીક્ષાનું આયોજન સંપૂર્ણ સાવચેતીપૂર્વક કરવામાં આવશે.
મધ્યપ્રદેશે કહ્યું
પરીક્ષાના આયોજનની યોજના, પંજાબે કહ્યું
સુપ્રીમકોર્ટ જઈશું
NEET JEE યોજવા
અંગે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં બુધવારે
વિપક્ષના 7
રાજ્યોના
મુખ્યમંત્રીઓ દ્વારા પરીક્ષા ટાળવાની માગ પછી હવે આ મુદ્દે પંજાબના સીએમ આગળ
વધવાની તૈયારી કરી રહ્યાં છે. સીએમ કેપ્ટન અમરિન્દરે તેમના એડવોકેટ જનરલ(એજી) અતુલ
નંદાને કહ્યું છે કે બિન ભાજપશાસતિ રાજ્યો સાથે સમન્વય કરીને પરીક્ષા ટાળવા અંગે
પુન:વિચાર કરવાનો આગ્રહ કરવા સુપ્રીમકોર્ટમાં અરજી કરે.
કેપ્ટને
કેન્દ્ર સરકારને કહ્યું છે કે NEET અને JEE જેવી પરીક્ષાઓનું આયોજન ઓનલાઈન
પણ કરી શકાય. મહારાષ્ટ્રના સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ પણ પરીક્ષાઓ ટાળવાની
ભલામણ કરતો પીએમને પત્ર લખ્યો હતો.
બીજી
બાજુ મધ્યપ્રદેશ સરકારે કહ્યું કે તે સપ્ટેમ્બરમાં પરીક્ષાના આયોજનની યોજના ઘડી
રહી છે. પ્રથમ તબક્કે NEET
સેન્ટરની
સંખ્યા બમણી કરાશે જેથી વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારની તપાસ ન કરાવવી પડે.
IIT નિર્દેશકોએ કહ્યું- બીજા
વિકલ્પથી ગુણવત્તાને ખતરો
બીજી
બાજુ રુરકી સહિત અનેક આઈઆઈટી સંસ્થાનોના નિર્દેશકોએ કહ્યું કે NEET અને JEEમાં વધુ વિલંબ કરવાથી
શૂન્ય શૈક્ષણિક સત્રનો ખતરો છે. જ્યારે પરીક્ષાના સ્થાને બીજા ત્વરિત વિકલ્પથી
શિક્ષણની ગુણવત્તા ઘટશે અને તેની નકારાત્મક અસર થશે.