• Home
  • News
  • કોંગ્રેસના વધુ એક નેતાનો બફાટ, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ હોવાથી તેનું સન્માન કરવું જોઈએ
post

સામ પિત્રોડા બાદ વરિષ્ઠ નેતા મણિશંકરના નિવેદનથી રાજકીય ખળભળાટ, કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2024-05-10 12:05:05

નવી દિલ્લી: લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસના પૂર્વ નેતા મણિશંકર ઐયરે કહ્યું છે કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ. આપણે એ ન ભૂલવું જોઈએ કે તેની પાસે પરમાણુ બોમ્બ પણ છે. જો કોઈ માથાનો ફરેલો આવશે તો તે આપણા પર ઝીંકી શકે છે. ઐયરે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું - મને સમજાતું નથી કે નરેન્દ્ર મોદી સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ કારણ કે ત્યાં આતંકવાદ છે. ઐયરેનું આ નિવેદન એપ્રિલ 2024નું હોવાનું કહેવાય છે, જે હવે વાયરલ થઈ રહ્યું છે. જો કે, ભાસ્કર આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. તેમણે વધુમાં કહ્યું- એ સમજવું જરૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે વાતચીત કરવી ખૂબ જ જરૂરી છે. નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત અહંકારથી અમને દુનિયામાં નાનું દેખાડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં કોઈ પાગલ ભારત સામે આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.

મણિશંકર ઐયર પહેલા ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા સામ પિત્રોડાએ પણ ચૂંટણી દરમિયાન બે નિવેદનો આપ્યા હતા, જેનાથી કોંગ્રેસની ઘણી બદનામી થઈ હતી. તેમણે ભારતમાં વારસાગત ટેક્સ લાદવાની વાત કરી હતી. આ અંગે રાહુલ ગાંધીએ પણ ખુલાસો કરવો પડ્યો હતો. પિત્રોડાએ બે દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા દેખાય છે. તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના લોકો ચામડીનો રંગ જોઈને દેશની જનતામાં ભાગલા પાડી રહ્યા છે. કોંગ્રેસે પિત્રોડાના નિવેદનથી કિનારો કરી લીધો હતો. થોડા કલાકો બાદ પિત્રોડાએ કોંગ્રેસના ઓવરસીઝ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.