બંને ભાઈના રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા, ત્યારબાદ બંનેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
કોરોનાને
કારણે દિલીપ કુમારના સૌથી નાના ભાઈ અસલમ ખાન (88)નું શુક્રવાર, 21 ઓગસ્ટના રોજ મુંબઈની
લીલાવતી હોસ્પિટલમાં અવસાન થયું હતું. મોડી રાતે તેમની તબિયત ગંભીર બની હતી. તેઓ
વેન્ટિલેટર સપોર્ટ સિસ્ટમ પર હતા. દિલીપ કુમારના બીજા ભાઈ અહેસાન ખાન (90)ની તબિયત પણ નાજુક છે.
હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમને હાલમાં ક્રિટિકલ કેર યુનિટમાં રાખવામાં આવ્યા
છે. બંને ભાઈઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ત્યારબાદ બંને ભાઈના રેપિડ એન્ટીજન
ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં એડમિટ
કરવામાં આવ્યા હતા.
લીલાવતી
હોસ્પિટલના ડૉક્ટર જલીલ પાર્કરે અસલમ ખાનના અવસાનની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે
મહાન અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ અસલમ ખાનને શુગર, બ્લડપ્રેશર તથા હાર્ટ
સંબંધિત બીમારીઓની સાથે કોવિડ 19નો ચેપ લાગ્યો હતો. તેમનું વહેલી સવારે નિધન થયું
હતું.
દિલીપ કુમાર-સાયરા
સુરક્ષિત
દિલીપ
કુમારના બંને ભાઈ અસલમ તથા અહેસાન અલગ ઘરમાં રહેતા હતા. આથી જ દિલીપ કુમાર તથા
સાયરાબાનો કોરોનાના ચેપથી સલામત છે. જોકે, બંને ભાઈઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમનો પણ
ટેસ્ટ કરવામાં આવ્યો હતો. દિલીપ કુમારે એપ્રિલમાં ચાહકોને અપીલ કરતી એક પોસ્ટ
સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ પોસ્ટમાં તેમણે ચાહકોને કોરોનાને કારણે ઘરમાં જ
રહેવાની વિનંતી કરી હતી.
મુંબઈમાં એક દિવસમાં 1275 નવા કેસ નોંધાયા
મુંબઈમાં
કોરોનાના કેસ વધતા જ જાય છે. ગુરુવાર, 20 ઓગસ્ટના રોજ 1275 નવા કેસ નોંધાયા હતા અને
46 દર્દીઓના મોત થયા હતા.
જો કુલ કેસની વાત કરીએ તો મુંબઈમાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસ 1,32,817 નોંધાયા છે અને 7,311 દર્દીઓએ જીવ ગુમાવ્યા
છે.