જનસમાજની જબાનમાં સાધારણ લોકોને સમજાય એવી શાયરીઓના સર્જકે વિદાય લીધી
ઈંદૌર નિવાસી મશહુર શાયર રાહત
ઈન્દૌરીએ મંગળવારે સાંજે વિદાય લીધી છે. સવારે જ તેમણે ટ્વિટ કરીને કોરોના
સંક્રમિત હોવાની જાણ કરી હતી અને સાંજે તેમના ઈન્તેકાલના સમાચાર આવતાં સમગ્ર દેશના
કરોડો ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. સરળ શબ્દો, ચોટદાર બયાન અને ખાસ તો એવી જ અસરકારક પ્રસ્તુતિને
લીધે રાહત ઈન્દૌરીની શાયરી દેશ અને દુનિયાના ચાહકોમાં ભારે લોકપ્રિય હતી. પ્રસ્તુત
છે રાહત સાહેબના કેટલાંક પસંદ કરેલાં શેઅર, જેમાં એમાં એમનો શાયરાના મિજાજ હુબહુ છલકાય છે.
રાહત
સાહેબ અવામનો અવાજ ગણાતા હતા. શાયર એ પોતાના સમયનો પહેરેદાર હોય છે એવું માનતાં
રાહત ઈન્દૌરીએ વર્તમાન સંજોગો વિશે પણ અનેક વખત લખ્યું છે અને બેબાક હિંમતભેર
લખ્યું છે.
1 જાન્યુઆરી,
1950ના રોજ ઈન્દોર (મધ્યપ્રદેશ) ખાતે જન્મેલા રાહત ઈન્દૌરીનું
ખરું નામ રાહતઅલી કુરૈશી હતું. તેમના પિતા મિલમાં મજૂરી કામ કરતાં હતા. રાહતનું
બાળપણ ગરીબી અને અભાવો વચ્ચે ઉછર્યું હતું. રાહતની શાયરીઓમાં પણ બાળપણના એ અભાવો
આક્રમક ભાવ બનીને ઊભરી આવ્યા છે.
અનેક
શાયરોની માફક રાહતની શાયરીઓમાં મૃત્યુનું ચિંતન પણ આબાદ વ્યક્ત થતું રહ્યું છે.
મૃત્યુ સંબંધિત તેમના કેટલાંક શેઅર ભારે લોકપ્રિય થયા છે.
ઈન્દોર
સ્થિત ઈસ્લામિયા કરિમા કોલેજના અભ્યાસ દરમિયાન જ રાહત શાયર તરીકે લોકપ્રિય થવા
લાગ્યા હતા અને મુશાયરાઓમાં શાયરીની અનોખી પ્રસ્તુતિ તેમની ઓળખ બનવા લાગી હતી.
વિદ્યાર્થી
અવસ્થાથી જ મુશાયરાઓના માનીતા બની ગયેલા રાહત સાહેબે ફિલ્મોમાં પણ ગીતો લખ્યા હતા, જે લોકપ્રિય
થયા હતા. ખાસ કરીને ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ, ઈમ્તિયાઝ
અલી, શેખર કપુર સાથે તેમને અંગત સંબંધો હતા.