ઈજાગ્રસ્ત હોવાના કારણે રવિન્દ્ર જાડેજા અને કે.એલ રાહુલ બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયા હતા
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાનાર છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે જીતી હતી જયારે વિશાખાપટ્ટનમ ટેસ્ટ ભારતીય ટીમે પોતાના નામે કરી સીરિઝ 1-1થી બરાબર કરી લીધી હતી. ત્રીજી ટેસ્ટ મેચના પ્લેઇંગ-11ને લઈને ભારતીય ટીમના હેડ કોચ અને કેપ્ટનની મુશ્કેલી વધી શકે છે.
રવિન્દ્ર જાડેજા વાપસી માટે તૈયાર
પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમમાંથી રવિન્દ્ર જાડેજા અને કે.એલ રાહુલ ઈજાગ્રસ્ત હોવાના કારણે બહાર થઇ ગયા હતા અને મેચ રમી શક્યા ન હતા. BCCIએ માહિતી આપી હતી કે, કે.એલ રાહુલ ત્રીજી મેચ પણ રમી શકશે નહીં. પરંતુ રવિન્દ્ર જાડેજા વાપસી માટે તૈયાર છે. જો કે જાડેજાની વાપસી થવાથી કોચ રાહુલ દ્રવિડની મુશ્કેલી વધી ગઈ છે.
બીજી ટેસ્ટ મેચમાં જાડેજાના સ્થાને કુલદીપને મળી હતી તક
ઇંગ્લેન્ડ સામે ભારતના પ્લેઇંગ-11માં રવિન્દ્ર જાડેજાની વાપસીથી કયા ખેલાડીને પ્લેઇંગ-11માંથી બહાર કરવો? આ સૌથી મોટો પ્રશ્ન રાહુલ દ્રવિડ સામે આવી ગયો છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં જાડેજાના સ્થાને કુલદીપ યાદવને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો હતો. તેનું પ્રદર્શન સારું હતું, તેથી અક્ષર પટેલ અને કુલદીપ યાદવમાંથી કોને પ્લેઇંગ-11માં સામેલ કરવું તે રાહુલ દ્રવિડે નક્કી કરવું પડશે.