વૈશ્વિક અર્થતંત્રમાં 90 વર્ષ અગાઉની મહામંદી પછીના સૌથી મોટા કડાકાની આશંકા
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (આઇએમએફ) આશંકા વ્યક્ત કરી છે કે કોરોનાના કારણે આ વર્ષે વૈશ્વિક અર્થતંત્રમાં 90 વર્ષ અગાઉની મહામંદી પછીનો સૌથી મોટો કડાકો આવી શકે છે. જોકે, આઇએમએફએ આશા વ્યક્ત કરી છે કે મોટાં અર્થતંત્રો પૈકી માત્ર ભારત અને ચીન જ મંદીથી બચી શકશે. આઇએમએફના જણાવ્યાનુસાર નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો વિકાસદર 1.9% રહેવાનું અનુમાન છે. આમ થયું તો આ 1991 બાદ ભારતનો સૌથી ઓછો વિકાસદર હશે.
ચીનનો વિકાસદર 1.2%
રહેવાનો અંદાજ
મંગળવારે આઇએમએફ અને
વર્લ્ડ બેન્કની બેઠકના પહેલા દિવસે જારી વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ મુજબ 1.9%
વિકાસદર છતાં ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતાં મોટાં
અર્થતંત્રોમાં યથાવત્ રહેશે. આ દરમિયાન ચીનનો વિકાસદર 1.2%
રહેવાનો અંદાજ છે. આઇએમએફના જણાવ્યાનુસાર વિશ્વનો આર્થિક
વિકાસદર 3 ટકા ઘટશે, જે 2008-09ની
વૈશ્વિક મંદીના સમયથી પણ મોટો ઘટાડો છે. 1930ની
મહામંદી બાદ આટલો મોટો ઘટાડો ક્યારેય જોવા મળ્યો નથી. આ વર્ષે વૈશ્વિક વ્યાપારમાં 11% ઘટાડાની
આશંકા છે.
2021-22માં
ભારતનો વિકાસદર 7.4% અને
ચીનનો 9.2% રહેવાનો અંદાજ
રિપોર્ટમાં આશા
વ્યક્ત કરાઇ છે કે જૂન મહિના પછી કોરોનાના કેસ ઘટશે તો આવતા વર્ષે અર્થતંત્ર ઝડપથી
સુધરશે અને વૈશ્વિક વિકાસદર 5.8%એ
પહોંચી જશે. તે સ્થિતિમાં 2021-22માં ભારતનો વિકાસદર 7.4%
અને ચીનનો 9.2% રહેવાનો
અંદાજ છે. કોરોનાને લઇને જારી અનિશ્ચિતતાઓ વચ્ચે આ રિપોર્ટ ઘણી અટકળો અને અનુમાનો
પર આધારિત છે.
કેલેન્ડર યર 2020માં
ભારતનો ગ્રોથ રેટ શૂન્ય રહી શકે છે: બાર્કલેઝ
કોરોના વાઇરસના
રોગચાળાની અસર લોકોના સ્વાસ્થ્યની સાથોસાથ પૂરી દુનિયાના અર્થતંત્ર પર પણ પડી રહી
છે. ભારતમાં કોરોનાના કેરથી બચવા દેશમાં લૉકડાઉન કરાયું છે. પહેલાં આ લૉકડાઉન 15 એપ્રિલ
સુધી હતું. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉન 3 મે
સુધી લંબાવવાની જાહેરાત કરી. અર્થતંત્રમાં પહેલેથી જારી મંદી બાદ હવે આ લાંબા
લૉકડાઉનના કારણે કેલેન્ડર યર 2020માં
ભારતનો ગ્રોથ રેટ શૂન્ય રહી શકે છે. આ માહિતી બ્રિટનની અગ્રણી બેન્ક બાર્કલેઝના
તાજેતરના રિપોર્ટમાં અપાઇ છે. બાર્કલેઝના જણાવ્યાનુસાર 2020માં
ભારતના જીડીપીમાં કોઇ ગ્રોથ નહીં થાય. અગાઉ બાર્કલેઝએ 2020માં
ભારતનો જીડીપી ગ્રોથ રેટ 2.5 ટકા અંદાજ્યો હતો.