IPL મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના દિવસે બેંગ્લોરમાં યોજાશે
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022 સિઝનમાં સામેલ અમદાવાદની ટીમને BCCIએ ગ્રીન સિગ્નલ આપી દીધું છે. મીડિયા રિપોર્ટ્સના આધારે હાર્દિક પંડ્યાને
અમદાવાદના કેપ્ટનનું સુકાન સોંપાશે. આ ટીમની માલિક કંપની CVC
કેપિટલ્સ સામે ઘણા સવાલો ઉઠ્યા હતા, જેના પરિણામે બોર્ડે એક
કમિટિની રચના કરી યોગ્ય રિપોર્ટ્સ સોંપવા જણાવ્યું હતું. તેવામાં કમિટિએ 2-3 સપ્તાહ પહેલા નિર્ણય સોંપી
દેતા બોર્ડે આ CVC કેપિટલ્સને IPLમાં ટીમ બનાવવાની અનુમતિ આપી
દીધી છે. જોકે હજુ સુધી આ મુદ્દે બોર્ડના અધિકારી કે BCCIએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે ઓક્શન
પહેલા અમદાવાદની ટીમ અંગે BCCI સત્તાવાર જાહેરાત કરી શકે છે.
ફિટનેસની સમસ્યા વચ્ચે
હાર્દિક પંડ્યાને અમદાવાદની ટીમનો કેપ્ટન બનાવાયો છે. ઉલ્લેખનીય છે કે આની પહેલા
શ્રેયસ અય્યરનું નામ જોરશોરથી ચાલતું હતું પરંતુ અત્યારે મીડિયા રિપોર્ટ્સના આધારે
હાર્દિક પંડ્યાને અમદાવાદની ટીમનો કેપ્ટન પસંદ કરાયો છે. IPL 2022 માટે મુંબઈ ઈન્ડિયન્સે
આ ખેલાડીને રિટેન ન કરતા ઘણા સવાલો સામે આવ્યા હતા.
પંડ્યાને લોકલ ફેક્ટર
કામ લાગ્યું
એક્સપર્ટ અનુમાન લગાવી રહ્યા છે કે પંડ્યા ગુજરાતી છે અને સ્થાનીક ફેન્સ પણ
તેના વધારે છે. વળી તેની વિસ્ફોટક બેટિંગને જોતા ફ્રેન્ચાઈઝી હાર્દિકને કેપ્ટન
બનાવી શકે છે. તે મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ટ્રેન થયો છે.
આ મહત્ત્વપૂર્ણ મુદ્દાને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઈઝીએ આ નિર્ણય લીધો હોય એવું
અનુમાન લાગી રહ્યું છે. અત્યારે ભલે હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ નથી એટલે
બોલિંગ કરી શકતો નથી છતા તે પોતાની ટીમ માટે એક મેચ વિનર સાબિત થઈ શકે છે.
હાર્દિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી
મીડિયામાં આ સમાચાર આવતાની સાથે જ હાર્દિકે સોશિયલ
મીડિયા પર પોસ્ટ પણ કરી છે. તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ફિટનેસ પર ફોકસ કરતો
જોવા મળી રહ્યો છે તથા હાર્દિક બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે.
રાશિદ ખાન પણ
અમદાવાદમાં સામેલ થઈ શકે
હાર્દિક પંડ્યા ઉપરાંત અફઘાનિસ્તાનનો લેગ સ્પિનર રાશિદ ખાન પણ અમદાવાદની ટીમ
સાથે જોડાયો હોવાના સમાચાર આવી રહ્યા છે. ગત સિઝનમાં રાશિદ હૈદરાબાદ તરફથી રમ્યો
હતો. આ વખતે તેણે પોતાને રિટેન્શનથી દૂર રાખ્યો હતો.
BCCI નવા કોન્ટ્રાક્ટની
સહાયથી CVC સાથે આગળ વધશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમદાવાદની ટીમને BCCI અને સ્પેશિયલ કમિટિએ
ગ્રીન સિગ્નલ આપી દીધું છે. હવે આ ટીમ BCCI સાથે IPLનો નવો કોન્ટ્રાક્ટ
સાઈન કરશે. જેમાં બોર્ડ કેટલાક નવા નિયમો અને માપદંડોનો ઉલ્લેખ કરી ટીમ સાથે આગળ
વધશે. તેવામાં 31 જાન્યુઆરી પહેલા અમદાવાદની ટીમને 3 ખેલાડીને સાઈન કરવાની
ડેડલાઈન પણ આપશે, જોકે આ તમામ કોન્ટ્રાક્ટ સાઈન થયા પછી બોર્ડ આની જાહેરાત કરશે. તેવામાં
અમદાવાદની ટીમના હેડ કોચ આશિષ નેહરાને પસંદ કરાયા છે. તેવામાં આ ટીમના મેન્ટોર
તરીકે ગેરી કર્સ્ટેન તથા કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી થઈ છે. આની પહેલા
એવી અટકળો હતી કે શ્રેયસ અય્યરને કેપ્ટનશિપ મળી શકે છે.
CVC કેપિટલે અમદાવાદની ટીમ
ખરીદી
IPLમાં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી. તેવામાં હવે આ ટીમ સામે વિવાદ એટલે સર્જાયો, કારણ કે CVC ગ્રુપે કેટલીક બેટિંગ
કંપનીમાં રોકાણ કર્યું છે. આ અંગે BCCIએ કમિટિ બનાવી હતી અને
હવે ટીમના ભવિષ્ય તથા આ ડિલ સામે સવાલો ઊભા થયા હતા. હવે ટૂંક સમયામાં અમદાવાદની
ટીમને ઓફિશિયલ IPLમાં સામેલ કરાઈ શકે છે. આ અંગે BCCI ઓક્શન પહેલા જાહેરાત
કરી શકે છે.
મેગા ઓક્શન સામે
કોરોનાનું સંકટ
IPL ફરીથી નવા વર્ષે કોરોનાના સકંજામાં ફસાઈ શકે એમ લાગી રહ્યું છે. BCCIએ તાજેતરમાં જ
ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની સાથે સીકે નાયડૂ ટ્રોફી અને સીનિયર મહિલા T-20 લીગ સ્થગિત કરવાનો
નિર્ણય લીધો છે. તેવામાં હવે મીડિયા રિપોર્ટ્સના આધારે IPL મેગા ઓક્શનની તારીખોમાં
પણ ફેરફાર થઈ શકે છે.
આમ જોવા જઈએ તો IPL મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના દિવસે
બેંગ્લોરમાં આયોજિત થવાનું છે, પરંતુ કોરોનાના વધતા જતા કેસને જોતા BCCI સામે મોટો પડકાર ઊભો
થશે. તેવામાં મીડિયાના અહેવાલોના આધારે જોવા જઈએ તો બોર્ડ મેગા ઓક્શનની તારીખો તથા
સ્થળ બદલી શકે છે.
ઓક્શનના આયોજનનો PLAN-B
BCCIના સૂત્રોએ મીડિયા સાથે ચર્ચા દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે અમારો પ્લાન-B પણ નિશ્ચિત જ છે.
જ્યારે ઓક્શનની તારીખો નજીક આવશે તેમ અમે સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ વધારે
કરીશું. તેવામાં જો જરૂર જણાશે તો અમે શોર્ટ નોટિસ આપી ઓક્શનનું સ્થળ બદલી દઈશું.
આ દરમિયાન અમારે એ પણ
જાણવું પડશે કે કઈ રાજ્ય સરકાર અમને આની અનુમતિ આપે છે તથા તેના પ્રોટોકોલ કેવા
રહેશે. આના સિવાય ટ્રાન્સપોર્ટેશનથી લઈ અન્ય માપદંડો પર નજર રાખી અમે આગળ કામ
કરીશું.
IPL 2022ના ઓક્શનમાં 10 ટીમો સામેલ
IPLની 15મી સિઝનમાં 10 ટીમો સામેલ થશે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7090 કરોડ રૂપિયામાં ખરીદી
છે અને 5 વર્ષ પછી ફરીથી લીગમાં કમબેક કર્યું છે. આની પહેલા ગોયન્કા ગ્રુપ પાસે 2 વર્ષ 2016 અને 2017માં રાઈઝિંગ પુણે સુપર
જાયન્ટ્સની ટીમ રહી હતી. વળી CVC કેપિટલ્સે 5166 કરોડ રૂપિયામાં
અમદાવાદની ટીમ ખરીદી છે.
વોર્નરને SRHએ રિટેન ન કર્યો
ડેવિડ વોર્નર ખરાબ ફોર્મમાં હતો ત્યારે સનરાઈઝર્સ
હૈદરાબાદે તેની સાથે છેડો ફાડી દીધો હતો. જેની સીધી અસર રિટેન્શનમાં પણ જોવા મળી
અને તેને હૈદરાબાદે રિટેન પણ કર્યો નહોતો. ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નરે T20 વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ
કરી 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' પણ રહ્યો હતો. તેવામાં અત્યારે
ડેવિડ વોર્નર એશિઝમાં પણ સારી બેટિંગ કરી રહ્યો હોવાથી અમદાવાદની ટીમમાં તેની
પસંદગી થઈ શકે છે. વળી હાર્દિક પંડ્યા અત્યારે ટીમ ઈન્ડિયાની બહાર છે પરંતુ તે એક
અનુભવી અને મેચ વિનર ખેલાડી હોવાથી અમદાવાદની ટીમને પોતાની વિસ્ફોટક બેટિંગથી સારી
સહાય કરી શકે છે.