ગયાના આ વૃદ્ધે પહાડોનું વરસાદી પાણી તળાવમાં પહોંચાડવા મહેનત કરી
દિલમાં
કંઇક સારું કરવાની ઇચ્છા અને મગજમાં ઝનૂન હોય તો કોઇ પણ કામ અશક્ય નથી હોતું.
બિહારના 70
વર્ષીય
લૌંગી ભુઇયાંએ આ સાબિત કરી બતાવ્યું છે.
ગયા
જિલ્લાના કોઠીલાવા ગામના રહેવાસી ભુઇયાંએ તળાવમાં પાણી પહોંચાડવા 30 વર્ષ સુધી ખોદકામ કરીને 3 કિ.મી. લાંબી નહેર બનાવી
દીધી છે. તેમણે ગામની આસપાસના પહાડો પરથી વરસાદી પાણી ગામના ખેતરો સુધી લાવવા માટે
આમ કર્યું. તેમની આ મહેનતથી અંદાજે 3 હજાર લોકોને ફાયદો થઇ રહ્યો છે.
તેમના પરિવારજનો જણાવે
છે કે તેઓ રોજ ઘરેથી જંગલમાં પહોંચી જતા અને નહેર ખોદવાના કામમાં મગ્ન થઇ જતા.
ભુઇયાં જણાવે છે કે તેમની પત્ની, પુત્ર અને પુત્રવધૂ બધાએ તેમને આ કામ કરતા રોકવા
પ્રયાસ કર્યો હતો,
કેમ
કે તેનાથી કંઇ આવક નહોતી થતી. એક સમયે તો લોકો તેમને ગાંડા પણ કહેવા લાગ્યા હતા પણ
આજે ગામમાં પાણી પહોંચ્યા બાદ બધા તેમના વખાણ કરી રહ્યા છે.
લોકો તેમને બિહારના બીજા
દશરથ માંઝી કહી રહ્યા છે
લૌંગી ભુઇયાંના આ
અનોખા પરાક્રમ બાદ લોકો તેમને બિહારના બીજા દશરથ માંઝી કહી રહ્યા છે. માંઝી પણ ગયા
જિલ્લાના જ ગહલૌર ગામના રહેવાસી હતા. તેમણે પહાડ ખોદીને રસ્તો બનાવ્યો હોવાથી તેઓ ‘માઉન્ટન મેન’ તરીકે પણ ઓળખાય છે.
તેમણે 1960થી 1982 દરમિયાન માત્ર હથોડા અને
છીણી વડે ગહલૌરમાં પહાડ ખોદીને રસ્તો બનાવ્યો હતો. તેમના આ અથાક પ્રયાસોના કારણે
ગહલૌર-વજીરગંજ વચ્ચેનું અંતર 55 કિ.મી.થી ઘટીને માત્ર 15 કિ.મી. થઇ ગયું. જોકે, ભુઇયાંએ પહાડ ખોદીને
માંઝીની જેમ સમતળ રસ્તો બનાવવા ઉપરાંત 5 કિ.મી. લાંબી નહેર બનાવીને ગામમાં પાણી પહોંચાડ્યું.