મગફળીનો મણદીઠ ભાવ રૂ.1200થી વધીને રૂ.1500 થઈ જતાં ભાવ પર અસર
અમદાવાદ: સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. માત્ર બે દિવસમાં
સિંગતેલના ડબાનો ભાવ રૂ.150 વધી જવા સાથે ફરી એકવાર રૂ.3 હજારને વટાવી ગયો છે. ચીનમાં મોટાપાયે નિકાસથી સિંગતેલના
નવા ડબાનો ભાવ રૂ.100-150 વધ્યો છે. ખાદ્યતેલો પરની આયાત ડ્યૂટી વધારવા ઓઈલ મિલોની માંગ છે.
આગામી સમયમાં ડ્યૂટીમાં
વધારો, માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની આવકમાં ઘટાડો, ચાલુ વર્ષે ઉત્પાદનમાં
ઘટાડની શક્યતા જેવા પરિબળોને લીધે ભાવ અચાનક ઊંચકાયા છે. અન્ય ખાદ્ય તેલોની
સરખામણીએ સિંગતેલના ડબાનો ભાવ રૂ.1 હજાર જેટલો વધુ છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે
મગફળીના પાકનો અંદાજ 28-29 લાખ ટન મુકવામાં આવ્યો છે જે ગતવર્ષે 32-33 લાખ ટન હતો. ઉત્પાદનમાં
ઘટાડો અને સિંગદાણા તથા સિંગતેલની નિકાસના કારણે બજારને સપોર્ટ મળ્યો છે. ચીનમાં
જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રતિ ટન 2000-2200 ડોલરના ભાવે સિંગતેલના
મોટાપાયે સોદા થયા હતા જેની ડિલિવરીનો સમય ચાલી રહ્યો છે જેના કારણે સ્થાનિક
બજારમાં ભાવ વધ્યા છે. ચીનની નિકાસ ઘટવા ઉપરાંત સ્થાનિકમાં માંગ ઘટે તો જ બજારમાં
ભાવ સ્થિર બની શકે છે.
ઓઇલમિલરોનું કહેવું છે
કે નિકાસ વેપાર અને ખેડૂતોની મગફળીની વેચવાલી પર બજારનો ટ્રેન્ડ નિર્ભર બનશે. જોકે, અન્ય ખાદ્ય તેલોને
ધ્યાનમાં લેતા ભાવ ફરક વધી ગયો હોવાથી હવે ઝડપી તેજી જણાતી નથી છતાં ઉપરમાં 3200-3300નો ભાવ થાય તો નવાઇ
નહીં. મગફળીનો ભાવ સિઝનની શરૂમાં મણ દીઠ રૂ.1200 આસપાસ રહ્યો હતો જે
વધીને અત્યારે રૂ.1500-1600 બોલાવા લાગ્યો છે. મગફળીના ઉંચા ભાવ છતાં ઓઇલ મિલરોને માલની અછતનો સામનો કરવો
પડી રહ્યો છે.
કપાસિયા, સોયાબિન, સનફ્લાવર તેલના ભાવમાં
કોઈ વધારો નહીં
ખાદ્યતેલ |
11-2-2022 |
14-2 2022 |
તફાવત |
સિંગતેલ |
2800-2900 |
2950-3050 |
150 |
કપાસિયા |
2000-2080 |
2000-2080 |
-- |
સોયાબિન |
2000-2150 |
2000-2150 |
|
પામતેલ |
1670 |
1680 |
10 |
સનફ્લાવર |
2000-2100 |
2000-2080 |
--- |
(નોંધ- ભાવ 15 કિલો ડબાનો) |
ફરસાણ કંપનીઓની માંગ
વધી
મગફળીનો ઉપયોગ ખારી સિંગ તેમ જ ફરસાણ બનાવતી કંપનીઓમાં વધી રહ્યો હોવાથી
પુરવઠામાં પણ અછત વર્તાઈ છે અને સીધી અસર ભાવ પર પડી રહી છે.
સિઝનની 70 ટકા મગફળીનો પાક
બજારમાં આવી ચૂક્યો છે
સિંગતેલની તુલનાએ સાઇડ
તેલો ઘણા સસ્તા છે તેમજ 3000ના ભાવે ખરીદીનું માનસ બદલાશે જેથી હાલના ભાવથી ઝડપી તેજીની સંભાવના નથી.
ખેડૂતો અત્યારે અન્ય જણસોની વેચવાલી કરતા હોવાથી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક
નહિવત્ છે. સિઝનનો 70 ટકા માલ બજારમાં આવી ચૂક્યો છે. > કિશોર વિરડીયા, પ્રમુખ-સૌરાષ્ટ્ર ઓઇલ
મિલ એસોસિએશન