• Home
  • News
  • અમદાવાદમાં સ્વામિનારાયણ સ્કૂલ બંધ કરવાના વિરોધમાં રેલી, સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ જોડાયા
post

અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલ દ્વારા પ્રાથમિક વિભાગ બંધ કરવા 1 મહિના અગાઉ DEO કચેરીને દરખાસ્ત કરવામાં આવી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-27 19:46:30

અમદાવાદ: અમદાવાદના નિર્ણયનગરમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને સ્કૂલમાં RTE હેઠળ ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલના નિર્ણયનો વિરોધ કરતા સ્કૂલથી લઈને વસ્ત્રાપુર DEO કચેરી સુધી રેલી કાઢી હતી. અગાઉ પણ આ મામલે વાલીઓએ DEO કચેરીએ રજૂઆત કરી હતી, ત્યારે તેમને બાંયધરી આપી પરત મોકલી દેવામાં આવ્યા હતા.

બાળકો-વાલીઓની સ્કૂલેથી 7.5 કિમી સુધીની રેલી
અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલ દ્વારા પ્રાથમિક વિભાગ બંધ કરવા 1 મહિના અગાઉ DEO કચેરીને દરખાસ્ત કરવામાં આવી હતી. જોકે તે સમયે વાલીઓને જાણ થતાં અચાનક જ સ્કૂલ બંધ કરવાના નિર્ણય સામે વિરોધ કર્યો હતો. ત્યારે DEO દ્વારા વાલીઓને અન્ય સ્કૂલમાં એડમિશન આપવા બાંયધરી આપી હતી. જોકે આજે ફરીથી બાળકો સાથે વાલીઓએ સ્કૂલેથી 7.5 કિમી સુધી રેલી કાઢી હતી. સવારે 9 વાગે સ્વામિનારાયણ સ્કૂલથી વસ્ત્રાપુર DEO કચેરી સુધી 80થી વધુ બાળકો અને વાલીઓએ હાથમાં બેનર સાથે વિરોધ કર્યો હતો.

સ્કૂલ હાલ જર્જરિત હાલતમાં છે: એ.એચ શર્મા
આ અંગે સ્કૂલના કો. ઓર્ડિનેટર એ.એચ શર્માએ જણાવ્યું હતું કે, સ્કૂલ હાલ જર્જરિત હાલતમાં છે, જેથી અમે બંધ કરી રહ્યા છીએ. સ્ટ્રક્ચર એન્જિનયરના રિપોર્ટ અનુસાર સ્કૂલનું બિલ્ડિંગ ભયજનક સ્થિતિમાં છે. અગાઉનાં વર્ષોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંધ કરવામાં આવ્યું છે, હવે ક્રમશ પ્રાથમિક વિભાગ પણ બંધ કરવામાં આવી રહ્યો છે.

અમારા બાળકને ક્યાં ભણાવીશું?: વાલી
આ બાબતે રાજ રામી નામના વાલીએ જણાવ્યું હતું કે, અમારા RTEના વાલીઓનો વિરોધ છે. અમે આજે મૌન રેલી યોજી હતી. સ્કૂલ બંધ થવાની અમને અચાનક જાણ કરવામાં આવી છે, હવે અમે અમારા બાળકને ક્યાં ભણાવીશું તે સવાલ છે. જેથી અમે રેલી કાઢી સ્કૂલેથી બાળકો સાથે DEO કચેરી આવ્યાં છીએ. DEO દ્વારા અમને 15 એપ્રિલ સુધી બીજી સ્કૂલમાં એડમિશન આપવા અંગે જાણ કરવામાં આવશે.

એક પણ બાળક એડમિશન વિના નહીં રહે: DEO
આ અંગે અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, એક પણ બાળક એડમિશન વિના નહીં રહે. સ્કૂલ બંધ થશે તો બાળકના રહેણાકના 6 કિમીના વિસ્તારમાં આવતી ખાનગી સ્કૂલમાં બાળકને એડમિશન આપવામાં આવશે. સ્કૂલે બંધ કરવાની અરજી મોડા કરી છે, જેથી અમે અરજી બાબતે તપાસ કરી રહ્યા છીએ અને તે માટે સુનવણી પણ કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post