• Home
  • News
  • વિરાટનો ખુલાસો:સચિને મને ડિપ્રેશનની સ્થિતિમાંથી મુક્તિ અપાવી, સચિન તેન્ડુલકરે સોશિયલ મીડિયા પર કહી ખૂબ જ મહત્વની વાત
post

સચિને લખ્યું કે વિરાટ મને તારી સફળતા તેમ જ પોતાના આ અનુભવને શેર કરવા બદલ તારા પર મને ગર્વ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-20 18:40:42

એક દિવસ અગાઉ વર્ષ 2014માં ઈગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પોતે ડિપ્રેશનનો ભોગ બન્યો હોવાનો ખુલાસો કરનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે સચિન તેન્ડુલકર પાસેથી મળેલી મદદને લીધે તે ડિપ્રેશનની સ્થિતિમાંથી બહાર આવી શક્યો હતો. વિરાટે કહ્યું કે સચિને તેને નકારાત્મક વિચારો સાથે નહીં લડવાની સલાહ આપી અને આ પ્રકારના વિચારોને નજર અંદાજ કરવા કહ્યું હતું કારણ કે નકારાત્મક વિચારો સાથેની લડાઈ તેને વધારે મજબૂત બનાવે છે. વિરાટના આ નિવેદન અંગે સચિન તેન્ડુલકરે સોશિયલ મીડિયા પરના અકાઉન્ટથી આ અંગે એક મહત્વની પ્રતિક્રિયા આપી છે. સચિને લખ્યું કે વિરાટ મને તારી સફળતા તેમ જ પોતાના આ અનુભવને શેર કરવા બદલ તારા પર મને ગર્વ છે. સચિન વધુમાં લખે છે કે વર્તમાન સમયમાં યુવાઓનું સોશિયલ મીડિયા પર સતત આંકલન કરવામાં આવી રહ્યું છે. હજારો લોકો આ અંગે વાત કરે છે, પણ કોઈ આ યુવાનો સાથે વાત કરતુ નથી.

હકીકતમાં સચિન તેન્ડુલકરે સોશિયલ મીડિયાના આ સમયમાં એક મોટા વિષય તરફ વધુ ચર્ચાનું શું મહત્વ છે તે અંગે જાણકારી આપી છે. સોશિયલ મીડિયાએ યુવાઓને એકલતાનો શિકર બનાવ્યા છે. આ યુવાઓના આમ તો સોશિયલ મીડિયા પર હજારો મિત્રો હોય છે, પણ જ્યારે વાત અસલ સંવાદની આવે છે તો તેમને આ બાબતમાં મદદ મળતી નથી. એકબીજાની સામે વાતચીત થતી નથી. મળવાનું થતું નથી. અને સચિને એક પ્રકારે આ પાસાનું શું મહત્વ છે એ તરફ ધ્યાન દોર્યું છે.

'એક સમય હતો, જ્યારે હું મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો'
ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી માર્ક નિકોલ્સની સાથેની વાતચીતમાં વિરાટે માન્યું કે તે એ સમયગાળા દરમિયાન પોતાના કરિયરના મુશ્કેલ સમયમાંથી પસાર થયો હતો. કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારેય ડિપ્રેશનમાં રહ્યા છો, ત્યારે તેણે કહ્યું, 'હા, મારી સાથે આવું થયું હતું. તે વિચારીને સારું લાગતું ન હતું કે તમે રન બનાવી શકતા નથી અને મને લાગે છે કે તમામ બેટ્સમેનને કોઈ સમયે એવો અનુભવ થાય છે કે તેમનું એકપણ વસ્તુ પર કોઈ જ નિયંત્રણ નથી.'

'2014નો ઈંગ્લેન્ડનો પ્રવાસ નિરાશાજનક રહ્યો'
કોહલી માટે 2014નો ઈંગ્લેન્ડ પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો. તેણે પાંચ ટેસ્ટ મેચની 10 ઈનિંગ્સમાં માત્ર 13.50ની સરેરાશથી જ રન બનાવ્યા હતા. 2014માં કોહલીનો સ્કોર 1, 8, 25, 0, 39, 28,0,7,6 અને 20 રન રહ્યો હતો. એ બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન કોહલી પરત ફરતાં શાનદાર 692 રન બનાવ્યા હતા.

'મને થતું કે વિશ્વમાં હું એકલી જ વ્યક્તિ છું'
32
વર્ષના કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસને યાદ કરતાં કહ્યું, 'ખરાબ સમય ચાલતો હોય ત્યારે ખબર ન પડે કે આ સમયને કઈ રીતે પાર કરવાનો છે. આ એ સમય હતો જ્યારે હું વસ્તુઓને બદલવા માટે કંઈ જ કરી શકતો ન હતો. મને એવો અનુભવ થતો હતો કે વિશ્વમાં હું એકલી જ વ્યક્તિ છું.'

હંમેશાં જોશ અને ઉત્સાહથી ભરપૂર ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ જણાવ્યું હતું કે તેમની જિંદગીમાં તેમનો સાથ આપનારા લોકો હતા, પરંતુ તેમ છતાં તેઓ ત્યારે પણ એકલતાનો અનુભવ કરતા હતા. કોહલીએ વધુમાં કહ્યું હતું કે 'ખાનગી રીતે એ મારા માટે નવું હતું કે તમે મોટા ગ્રુપનો ભાગ હોવા છતાં એકલતાનો અનુભવ કરી રહ્યા હોવ. હું એમ નહીં જણાવું કે મારી સાથે વાત કરવા માટે કોઈ ન હતું, પરંતુ વાત કરવા માટે કોઈ પ્રોફેશનલ ન હતું કે મને સમજી શકે કે હું કયા સમયમાંથી પસાર થઈ રહ્યો છું.'

'ડિપ્રેશનને અવગણી ન શકાય, કેમ કે એ કોઈનું પણ કરિયર બરબાદ કરી શકે છે'
ઈન્ટરનેશનલ કરિયરમાં 70 સેન્ચુરી ફટકારનાર ભારતીય કેપ્ટનનું માનવું છે કે માનસિક સ્વાસ્થ્યના મુદ્દાને અવગણી ન શકાય, કેમ કે એનાથી કોઈપણ ખેલાડીનું કરિયર બરબાદ થઈ શકે છે. તેનું માનવું છે કે 'એક એવી વ્યક્તિ હોવી જોઈએ, જેની પાસે કોઈપણ સમયે જઈને તમે એમ કહી શકો કે સાંભળો હું અસહજ અનુભવું છું. મને ઊંઘ નથી આવતી. હું સવારે ઊઠવા નથી માગતો. મને મારા પર વિશ્વાસ નથી કે હું શું કરું.'

દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક ભારતીય કેપ્ટન કોહલીએ વધુમાં કહ્યું હતું કે 'અનેક લોકો લાંબા સમય સુધી આ પ્રકારનો અનુભવ કરે છે, જેમાં મહિનાઓ લાગી જાય છે. આવું સમગ્ર ક્રિકેટ સત્રમાં બની શકે છે. લોકો એમાંથી બહાર નથી આવી શકતા. હું સંપૂર્ણ ઈમાનદારીની સાથે પ્રોફેશનલ મદદની જરૂરિયાતનો અનુભવ કરું છું.'

 

adv

Related News

post
post
post
post
post
post
post