શરદી, ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ છે કે નહીં તેની દર્દીઓને ફોનથી પુછપરછ કરાઇ
ગાંધીનગર: હાલમાં
કોરોના વાઈરસના વધતા જતા સંક્રમણને પગલે ઓછી રોગપ્રતિકાર શક્તિ ધરાવતા ટીબીના 2238 દર્દીઓ અને
એચઆઇવીના 550 દર્દીઓને ફોન કરીને પુછપરછ કરી હતી. દર્દીઓને શરદી, ખાંસી, તાવ અને
શ્વાસ લેવામાં તકલીફ છે કે નહી તેની ફોનથી પુછપરછ કરીને બે માસની દવા તેઓને ઘરે
પહોંચાડવામાં આવી છે.
કોરોનાના વધતા જતા પોઝીટીવ કેસને પગલે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ. એચ.
સોલંંકીની સુચના પગલે ટીબી અને એચઆઇવીના દર્દીઓની ટેલિફોનીક પુછપરછ કરીને તાવ, ખાંસી, શરદી તેમજ
શ્વાસ લેવામાં તકલીફ થાય છે કે નહી તેની જાણકારી મેળવવી હતી. જેમાં ટીબીના 520 દર્દીઓને
ફોન કરતા તેમાંથી 12 દર્દીઓને શરદી, ખાંસી અને તાવના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જિલ્લા ક્ષય અધિકારી
એમ.બી.ચૌહાણે ટીબીના વર્ષ-2019 અને વર્ષ-2020ના કુલ 2238 દર્દીઓને
ફોન ઉપર સંપર્ક કરીને ઉપરોક્ત બિમારીના લક્ષણો અંગેની પુછપરછ કરી હતી. ઉપરાંત 12 દર્દીઓને
શરદી, ખાંસી અને તાવના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તાકિદે નજીકના પ્રાથમિક આરોગ્ય
કેન્દ્રમાં તેની જાણ કરીને સારવાર કરવા સુચના આપી છે.
ઉપરાંત એચઆઇવી પોઝીટીવ દર્દીઓની પણ રોગપ્રતિકાર શક્તિ ઓછી હોવાથી તેઓ પણ
કોરોના વાયરસનો ભોગ બને નહી અને સલામત રહે તે માટે તેઓની સાથે ટેલિફોનીક વાતચીત
કરી હતી. જેમાં એચઆઇવીના 550 દર્દીઓની ફોન ઉપર પુછપરછ આઇટીસીટી, એઆરટી, સ્વેપ
પ્રોગ્રામના, ગેપ સંસ્થાના કર્મચારીઓએ કરીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે કે નહી, શરદી, ખાંસી કે
તાવની બિમારી છે કે નહી તેની માહિતી લીધી હતી. એચઆઇવી દર્દીઓમાં ઉપરોક્ત બિમારીના હોય
તો તાલુકાકક્ષાના ઓઆરડબલ્યુનો જાણ કરીને તાકિદે ટ્રીટમેન્ટ આપવા સહિતની કામગીરી
કરવામાં આવી રહી છે.